અકબર.
પ્રકરણ ૧ લું.
દિગ્દર્શન.
હિંદુસ્તાનમાં મુઘલવંશનું દૃઢ સ્થાપન કરનાર પ્રતાપી મહારાજા (અકબર ) ના ચરિત્રનો આ ટુંકો હેવાલ કયા ધોરણ ઉપર લખાયેલો છે તે હું જરા સમજાવી લઉં ત્યાં લગી વાંચનારને ક્ષમા દૃષ્ટિ રાખવાની વિનંતી કરૂં છું.
આવા રાજ્યની પ્રથમ ધારણા અકબરે પોતે ઉદ્ભાવી નહતી. એના દાદા બાબરે હિંદુસ્તાનનો મોટો ભાગ જીત્યો હતો. પણ તે જીત્યા પછી તે તેના મરણ સુધી જે પાંચ વર્ષ ગયાં તેની અંદર રાજ્યવ્યવસ્થાકારનો પોષાક ધારણ કરવાની જરીયે તક તેને મળી નહતી. તેણે હરાવેલા તેના હરીફો તેમજ આ દેશના વતનીઓ પણ તેને એક વિજયાસક્ત વીર ગણી તેનામાં વિશેષ કાંઈ હશે એમ સમજતા નહતા. વખાણવા લાયક સામર્થ્યવાળા અને સશસ્ત્ર રહીને આખી જીંદગી ગાળેલી એવો તે ખરેખર પરમ સાહસિક નર હતો. પોતાના સમકાલીનોથી બહુ ચઢતી પ્રતિભાવાળો અને વિપત્તિના વિષમ બોધથી શીખાયલા એવા તેણે કાબુલમાંના પોતાના ગૉખમાંથી ફળદ્રૂપ હિંદુસ્તાનની અસ્તવ્યસ્ત સ્થિતિ જોઈને તેના પ્રદેશો ઉપર અનિવાર્ય બળથી ધસારો કર્યો હતો. આમ બાબર પોતાના વખતથી બહુજ આગળ વધેલો ઉદાર દીલનો માયાળુ અને વિચારે ઉન્નત હતો તોપણ હિંદુસ્તાનની સાથેના તેના સંબંધમાં તો તે એક વિજયાસક્ત વીર કરતાં વધારે કાંઈજ નહતો. પ્રત્યેક પ્રાંતોમાં મુખ્ય મુખ્ય સ્થળોનો કબજો કરીને રહેલી અને પોતપોતાનું સંભાળનારા અકેકા સેનાપતિથી અધિષ્ઠિત મોટી છાવણીઓ નાખીને રાજ્ય કરવાનો જે રસ્તો તેને પોતાની આખી જીંદગીમાં પરિચિત હતો, અને જે રસ્તો તેના અફઘાન પૂર્વ પુરુષોએ હિંદુસ્તાનમાં દાખલ કર્યો હતો