હુમાયૂંના અચાનક મરણે આ યોજનાને અમલમાં મુકવા ન દેતાં અટકાવી. ત્યાર પછી પેલા લડાઈના બનાવો બન્યા, જેના પરિણામમાં પાણીપતનો વિજય થયો. આ લડાઈઓએ બાબરે ત્રીસ વરસ ઉપર જે સ્થિતિનો અનુભવ કર્યો હતો તેજ સ્થિતિમાં અકબરને મૂક્યો. તે વખતે વાયવ્ય પ્રદેશો, બિહાર અને મધ્ય હિંદના કેટલાક ભાગો ઉપર જય મેળવવાની તક મળી હતી. તે તકનો તેણે પૂર્ણ લાભ લીધો પણ હતો. અકબરને પણ પાણીપતની બીજી લડાઈથી એજ લાગ મળ્યો હતો. એની સાથે કટોકટીથી લડી શકે એવો એકજ શત્રુ હતો અને તેને એણે અહીંઆં હરાવ્યો હતો. ત્યારે હવે મુલક મેળવવા એટલોજ પુરુષાર્થ છે એમ ધારીએ તો એનું કામ હવે બહુજ સહેલું હતું. પણ એનું ખરૂં કામ એ હતું કે મેળવેલા વિજયો ચિરસ્થાયી કરવા; જુદા જુદા ઈલાકાઓને અને ભિન્ન ભિન્ન પ્રજાઓને એકત્ર કરવી; બાદશાહનો અમલ દરેક શહેરમાં અને દરેક જીલ્લામાં વ્યાપી રહે એવી કેન્દ્રાવલંબી એક રાજ્યરીતિ ઘડી કહાડી તે દાખલ કરવી. અને તે રીતિ કેન્દ્રાવલંબી છતાં પણ એટલી બધી સખ્ત ન રાખવી કે જે સ્થાનિક સંપ્રદાયો સ્થાનિક રીતરીવાજો અને સ્થાનિક વ્યવહારનો લોપ કરે. આ કામ એના દાદાએ અજમાવ્યુંજ નહતું. એજ કામ એના બાપને સૂઝયું હોત અથવા એની સમક્ષ કોઈ એ રજુ કર્યું હતુ તો પણ અશક્ય જ લાગત. પણ એમના રાજ્યવ્યવહારમાં આવા ક્રમને અભાવોજ સને ૧૫૨૬ માં પાણીપતને પ્રભાતે જીતેલું રાજ્ય ભૂમિમાં ઊંડા મૂળ નાંખ્યા વિનાનું, અવિચ્છન્ન લશ્કરી વિજય ઉપરજ આધાર રાખીને રહે એવું એક પ્રચંડ ઝપાટાની સાથે ઉડી જાય એવું તથા ઘઝની, ઘોર ખીલજી, તઘલક, સૈયદ અને લોદી વંશના રાજ્યો કરતાં અંશમાત્રમાં પણ ચડતું નહિ: એવું જ રહ્યું, આના કરતાં વધારે સજ્જડ નહતું—એ વાત તો શેરશાહના હુમલાથી બાબરે સ્થાપેલું રાજ્ય એના પછીના રાજ્યમાં કેવી સહેલાઈથી પડી ભાગ્યું એ વાત ઉપરથી સિદ્ધ થાય છે. એક્વાર આપણે એમ માનીએ કે બાબર અમર રહ્યો હત તો ઘણે ભાગે એણે શેરશાહને મારી કહાડ્યો હત, પણ એમ માન્યાથી મારી દલીલ જ સાબીત થાય છે. બાબર બહુ સમર્થ સેનાપતિ હતો. તેમ શેરશાહ પણ તેવોજ હતો.