હદ ઉપરાંત હોય તેમને પોતાના દરબારમાં હાજર રહેવા ન દેતો. બીજી બાબતોમાં એ કેવો હતો તે વાંચનાર આ પુસ્તકના છેલ્લા પ્રકરણમાંથી શોધી કહાડશે. મને આશા છે કે ચૌદ વરસની ઉમરે બેરામખાંની વ્યવસ્થા નીચે પાણીપતની લડાઈ જીતી વિશ્રામ લીધા વગર રણક્ષેત્રથી દિલ્હી જઈ ઉભો રહ્યો હતો, તે બાળક બાદશાહનાં લક્ષણો અને ગર્ભિત શક્તિનો કંઈક વિચાર આવે એટલું તો હું ઉપર લખી ગયો છું. એના સ્વભાવનું બળ કે એની બુદ્ધિનો વૈભવ આ વખતે કોઈ જાણનાર હશે તો પણ કોકજ હશે. બેશક એનો અતાલીક બેરામ તે જાણતો નજ હતો કેમકે જો જાણતો હત તો તેણે સરહિંદ આગળ પોતાના તંબુમાં લાવી તાર્દીબેગને મારી નાંખ્યો નજ હત અને કેદ કરેલા હેમુના શરીરમાં પોતાની તલવાર ભોંકવાનું આ બાળક બાદશાહને સૂચવ્યું નજ હત. પણ બેરામ તેમજ એના દરબારના અને સૈન્યના બીજા ઉમરાવો “હુમાયૂંનો શાહજાદો આપણે જેમ ચલાવીએ તેમ ચાલે એવો એક બાળક કુમાર નથી પણ આપણે જેને વશ રહેવું પડશે એવા આપણો ધણી છે” એ વાતથી ઝાઝો વખત અજાણ્યા રહ્યા નહિ.
અકબર એક મહિનો દિલ્હી રહ્યો. ત્યાંથી હેમુના વિખરાઈ ગયેલા લશ્કરની પાછળ પડવાને તથા તેઓ લઈ જતા હતા તે મોટો ખજાનો મેળવવાને એક સૈન્ય મેવાડમાં મોકલ્યું. આ નાની સવારીમાં શેરનના સરદાર પીરમહમદખાંએ સારો વિજય મેળવ્યો. તે આ વખતે બેરામનો અનુયાયી હતા પણ પાછળથી તેના ઉપર એની ઈતરાજી થઈ હતી. પછીથી અકબર આગ્રા ઉપર ચડ્યો અને તે લીધું.
પણ સતલજની દક્ષિણના તેણે જીતેલા મુલકો જ્યાં સૂધી પંજાબ દૃઢ ન હોય ત્યાં સુધી સલામત નહતા. આપણે ઉપર જોઈ ગયા છીએ કે એના વંશના કટ્ટા દુશ્મન સિકંદરશાહને માત્ર પાછો હઠાવીને તેણે માનકોટમાં છોડ્યો પણ તેનો પૂરો પરાભવ કર્યો ન હતો. વળતા વરસના સને ૧૫૫૭ ના–માર્ચમાં તેને એવા સમાચાર મળ્યા કે પંજાબમાં રાખેલા એના લશ્કરની આગલી ટુકડીનો સિકંદરશાહે લાહોરથી ચાલીસ માઈલ ઉપર પરાભવ કર્યો હતો. પંજાબમાંથી આવતા અમીરો કહેવા લાગ્યા કે