માનકોટ અગાડી સિકંદરશાહે એક મજબૂત પાયો રાખ્યો છે તેથી ઘણો ગંભીર પ્રસંગ થઈ પડ્યો છે. કારણ કે રણમાં માર ખાય તોપણ અડચણો કરવાને માટે તે ત્યાંથી નીકળી શકે. વળી એના આ વિજયે એના પક્ષવાળાઓને ઉત્તેજન આપ્યું હતું. આ દલીલનું બળ અકબરે સ્વીકાર્યું. જો કાંઈ કરવું તો તે પૂરૂં કરવું—એ નિયમમાં એના રાજ્યનું મોટું બળ સમાયેલું હતું: અને તે નિયમનો ઉપયોગ કરવાનો તેણે નિશ્ચય કર્યો. તદનુસાર એ સીધો લાહોર તરફ ચાલ્યો અને લાહોરને સલામત જાણીને ત્યાંથી—એનો શત્રુ જ્યાં સ્થિર થઈ બેઠો હતો ત્યાં–જાલંધર ઉપર ઉપડ્યો. અકબર આવી પહોંચ્યો એટલે સિકંદર સિવાલીક તરફ હઠ્યો અને માનકોટ ઉપર આધાર રાખીને બેઠો. ત્યાં અકબરે એને ઘેરો ઘાલ્યો.
આ ઘેરો છ મહિના ચાલ્યો. પછીથી દુકાળથી પીડાયેલા તથા પોતાના માણસો નાસી જવાથી નબળા પડેલા સિકંદરે સલાહની સરતો માગવા સારૂ પોતાના કેટલાક ઉમરાવોને મોકલ્યા. અકબરે તેની વિનંતી સ્વીકારી અને એવી સરત કરી કે સિકંદર બંગાળામાં જઈને રહે, અને હવેથી બાદશાહ સાથે નહિ લડે એવી ખાત્રી સારૂ એના શાહજાદાને જામીનગીરીમાં બાદશાહને સોંપે. પછી તે કિલ્લો સર થયો અને અકબર લાહોર પાછો આવ્યો. ત્યાં ચાર મહીના ને ચાર દિવસ તે ઈલાકાના બંદોબસ્ત સારૂ રહ્યો અને પછી દિલ્હી તરફ પાછો ફર્યો. રસ્તામાં જાલંધર આગળ મુકામ કર્યો. ત્યાં હુમાયૂંના કાકાની એક દીકરી સાથે બેરામખાનનું લગ્ન થયું. આ લગ્ન હુમાયૂંએજ નક્કી કર્યું હતું. અને આવી બાબતમાં આ જુવાન બાદશાહ એના બાપની મરજીને કાયદારૂપે ગણતો. અકબર સને ૧૫૫૮ ના માર્ચની ૧૫ મી તારીખે દિલ્હીમાં દાખલ થયો. હજી વાસ્તવિક કારભાર બાદશાહના અતાલીક અથવા સંભાળ રાખનાર બેરામખાંના જ હાથમાં હતો, અને ૧૫૫૮ અને ૧૫૫૯ એમ બે વર્ષ સુધી તે એ અધિકારમાં રહ્યો. જેની પાસે રાજવ્યવહાર શીખવાને એને મૂકવામાં આવ્યો હતો, તેવા આ મોટા સેનાપતિની પ્રતિષ્ઠા એકદમ હલાવી નાંખવી એ એક નાના બાળકને માટે સહેલું કામ નથી. અને અકબર જોકે પોતાને નામે કરેલાં અતાલીકનાં ઘણાં કામો નાપસંદ કરતો તો