આખરે તે નવા શહેનશાહની નોકરીમાં જ મરણ પામ્યો. અહીંયાં વાંચનાર આટલું લક્ષ દેવા ચુકશે નહિ કે અકબરે શત્રુઓને કેવળ મરણીયા બનાવવાને બદલે માનમરતબો અને સારો હોદ્દો આપીને મેળવી લેવાનું ધોરણ આમ અમલમાં મૂક્યું. એનું કર્તવ્ય એકીકરણનું હતું. એથી પરાભવ પામેલા ઉપર એ હમેશાં ઉદાર રહેતો. એમના બળને–પોતાના બળથી વ્યતિરિક્ત એક બળ રહેવા ન દેતાં પોતાના બળમાં જ ભેળી દેતો. આરંભમાં એની વિરૂદ્ધ આચરણ કરવાની વૃત્તિવાળાઓને તે જણાવી દેતો કે ‘મારાથી પરાભવ પામ્યાથી અથવા મને શરણ થયાથી તમારા માનમરતબામાં કાંઈ ઘટાડો તો નહિ જ થાય પણ આખરે તેમાં વધારો થશે.’ રજપૂતાનાના જ જુદા જૂદા રજવાડા જોડેના એના આચરણોના વર્ણનમાં આપણે જ્યારે ઉતરીશું ત્યારે આ ધોરણના અમલની વધારે સ્પષ્ટતાથી નોંધ લઈશું.
અકબરના રાજ્યના આઠમા વર્ષના વસંતમાં એક દુઃખદ બનાવ બન્યો. જે સ્ત્રીએ એના બાલ્યમાં એની ધાત્રી થઈને કુમળી વયમાં એની સંભાળ રાખી હતી તે સ્ત્રીની એ કેટલી બધી દરકાર અને પ્રીતિ રાખતો એ હું ઉપર સૂચવી ગયો છું. બેરામ સાથેની વર્તણુકમાં એ ઘણે દરજ્જે આની શીખામણ પ્રમાણે ચાલ્યો હતો. તેના નિર્વાહ માટે દરબારમાં ઉત્તમ પ્રકારની યોજના હતી અને એના બધા છોકરાઓને પણ અકબરે સારે ઠેકાણે નાંખી દીધા હતા. તોપણ એના મોટા છોકરાએ પોતાને જેમની બરાબર અથવા જેમનાથી ઊંચો ધારતો એવા માણસો પોતાની ઉપર ચઢી જવાથી તેમના ઉપરની ઇર્ષ્યાથી બળતાં અને સંભવ છે તેમ પોતાના જેવા બીજા માણસોથી ઉશ્કેરાઇને, મુખ્ય પ્રધાન જાહેર કચેરીમાં બેઠો હતો તે વખતેજ તેને મારી નાંખ્યો, અને એના તથા એના કુટુંબ ઉપર અકબરે હમેશ બતાવેલી મહેરબાની ઉપર વિશ્વાસ રાખીને અંતઃપુરના દ્વાર આગળ જઈને ઊભો રહ્યો. પણ આવા માણસને માટે અને આવા કર્મને માટે અકબરમાં દયા ન હતી. ખૂનીના કડકે કડકા કરાવવામાં આવ્યા અને કોટ ઉપરથી નીચેની ખાઈમાં એના શબને નંખાવી દીધું. એને ઉશ્કેરનારાઓ પોતાનો એમાં હાથ છે તે જણાઈ જવાની બીકે જમના નદીની પેલી પાર નાસી ગયા પણ