ગુલામે બાદશાહને તાબે થવાનો પત્ર લખ્યો. અકબરે પોતાના બે અમીરોને એ કીલ્લાનો કબજો લેવા મોકલ્યા અને તે તેમને તેણે સોંપી દીધો. ચન્નરનો કબજો મળવાથી નરસીંગપુરના જીલ્લાનું બારણું ઉઘડ્યું. આના ઉપર એક રાણી રાજ્ય કરતી હતી. જે ચૌરાગઢના કીલ્લામાં પોતાનો દરબાર ભરતી હતી. આની સામા અકબરનું લશ્કર ઉપડ્યું અને એક કટ્ટી લડાઈમાં એને હરાવીને હાલ હોશંગાબાદના જીલ્લાને નામે ઓળખાતો નરસીંગપુરનો મુલક શહેનશાહતમાં ભેળી દીધો. તે વર્ષના ઉનાળામાં શીકાર કરવાને બહાને મધ્ય દેશ તરફ અકબર ચાલ્યો. ત્યાં વરસાદ આવવાથી તે ચમક્યો અને વીસ માઈલના ઘેરાવાવાળું તે વખતમાં ઘણું આબાદ શહેર નરવાર તે તરફ ચઢેલાં પાણી ચીરીને ચાલ્યો. તે શહેરની નજીકમાં થોડાક દિવસ શીકાર કરીને તે માળવા તરફ વધ્યો અને રાના તથા સારંગપુરમાં થઈને માહુની નૈઋતમાં છવીસ માઈલ ઉપર આવેલા માંડુ તરફ ચાલ્યો. અકબરે નીમેલો એક ઉસબેક ઉમરાવ માંડુનો સૂબો હતો. તે અંતરમાં સમજ્યો હતો કે મારાથી નાખુશ થવાનું અકબરને કારણ છે તેથી બાદશાહે મોકલેલા અભય સંદેશામાં વિશ્વાસ ન રાખીને અકબર પાસે આવ્યો તે વખતે શહેર છોડીને પોતાના અનુચરોની સાથે નાઠો. અકબરે તેની પાછળ એક લશ્કર મોકલ્યું. તે ગૂજરાત સુધી તેની પૂંઠે પડ્યું અને તેની પાસેથી તેના અશ્વો, હાથી, તથા બીબીયો છીનવી લીધી.
માંડુમાં અકબરને જે આવકાર આપવામાં આવ્યો તે બહુ જ સંતોષ ઉપજાવે એવો હતો. પડોશના નજીકના જમીનદારો બાદશાહને સલામ કરવા શહેરમાં ઉભરાયા અને દૂરના ખાનદેશના રાજાએ એને મુબારકબાદી આપવા એક એલચી મોકલ્યો. અકબરે આ એલચીનો આદરસત્કાર કર્યો. તે વખતના રીવાજોના એક લાક્ષણિક સ્વરૂપ જેવી વાત અહીંયા લખવી યોગ્ય છે. જ્યારે અકબરે તે એલચીને રજા આપતાં સત્કાર કર્યો ત્યારે તેણે ખાનદેશના રાજા ઉપરનું એક ફરમાન તે એલચીના હાથમાં મૂક્યું. તેમાં એવી સૂચના કરી હતી કે બાદશાહની સેવામાં હાજર રહેવા યોગ્ય એની કોઈ શાહજાદી હોય તેને મોકલાવવી. એક દેશી ઇતિહાસકાર લખે છે કે આ કૃપાપૂર્ણ