દૃઢ નિશ્ચય પણ વધતાં ગયાં. આખરે અર્થ સરે એવું ગાબડું પડ્યું છે એમ સમજાયાથી માર્ચ માસની એક રાત્રે અકબરે હુમલો કરવાનો હુકમ આપ્યો. ઊભો ઊભો બધી દેખરેખ રાખી શકે અને યોગ્ય પગલાં સૂચવી શકે એવી જગા ઉપર તેણે પોતાને માટે એક બેઠક કરાવી હતી. પોતાની બંદૂક હાથમાં રાખી એ બેઠો હતો ત્યાં તેણે એક સમર્થ સરદારની સરદારી નીચે બહાદૂર રજપૂતોને બાદશાહના લશ્કરને અંતઃકરણપૂર્વક આવકાર આપવાની તૈયારીમાં ગાબડા આગળ એકઠા થતા જોયા. એ ગાબડું અને પોતાની બેઠક વચ્ચેનો અંતર સીધી લીટીએ બહુ થોડો હતો. માત્ર એક નદી જ વચમાં વહેતી હતી.
મશાલોના અજવાળાથી અકબરે રજપૂત સેનાપતિને ઓળખી કહાડ્યો અને તે પોતાની બંદૂકના લક્ષ્યમાં છે એમ માનતાં બંદૂક છોડી અને તરત જ તેને ત્યાં અગાડી જ ઠાર કર્યો. આ ભાગ્યશાળી લક્ષ્યવેધ બે લશ્કરો એક બીજાની પાસે આવતાં હતાં તેવે વખતે થયો અને એથી રજપૂતો એટલા તો નાહિમ્મત થઈ ગયા કે અણીને વખતે તેમણે તદ્દન નમાલું રક્ષણ કર્યું. પછીથી અલબત્ત તેઓ પાછા આવ્યા. અને જો કે જાત ભાગીને આ વખત પૂર્ણ પ્રયત્ન કર્યો પણ ગયેલ લાભ એમને મળી શક્યો નહિ. વહાણું વાયું ત્યારે ચીતોડ અકબરના કબજામાં આવી ગયેલું હતું. આ વિજયથી ઓશીંગણ થઈને ઘેરો ઘાલવા માંડ્યા પહેલાં લીધેલી બાધા મૂકવા સારૂ અકબરે અજમેરની ટેકરીની ટોચ ઉપર આવેલી હિંદુસ્તાનમાં પહેલા મુસલમાન ફકીર સીઈસ્તાનના માઈનુ–ઈ–દીન ચીશ્તીની દરગાહની યાત્રાએ પગે ચાલતો ગયો. હજી નાનપણની કેળવણીમાંથી એ મુક્ત થયો નહતો. અજમેર એ દશ દિવસ રહ્યો અને મેવાતને રસ્તે ત્યાંથી આગ્રે પાછો ફર્યો. વસંત અને ચોમાસું અકબરે આગ્રામાં ગાળ્યું. પછી જ્યપૂરમાં આવેલ ‘રણથમ્ભોર’ ના મજબૂત કિલ્લાને સર કરવાનો ક્રમ નક્કી કર્યો પણ એને માટે ઊભું કરેલું લશ્કર હજી રસ્તામાં હતું, તે વખતે ગુજરાતમાં એક તોફાન ઊઠ્યું અને તે પછી તરત જ તે તરફથી મધ્ય હિંદુસ્તાન ઉપર ચડાઈ કરવાની જરૂર પડી તેથી આ લશ્કર તે તરફ વાળવાની અકબરને જરૂર પડી. પછી