સરદાર મરાયો. યુદ્ધમાં અને તેમની પાછળ પડવામાં એમનાં બે હજાર માણસો મરાયાં. પછી અકબર અમદાવાદ તરફ ચાલ્યો અને ત્યાં લાયક માણસોને ઈનામ આપવામાં અને ઇલાકાને હમેશને માટે નિર્ભય કરવાની ગોઠવણ કરવામાં પાંચ દિવસ રોકાયો. પછી તે ખેડા જીલ્લામાં મેમદાવાદ ગયો અને ત્યાંથી શીરોહી થઈ અજમેર ગયો. ત્યાં આગળ પેલા ફકીરની દરગાહની મુલાકાત લીધી. અને ત્યાંથી રાત અને દિવસ મુસાફરી કરી જયપુરથી ચૌદ માઈલ ઉપર આવેલા એક ગામડામાં મુકામ કર્યો. ત્યાં આગળ તેના સમર્થ અમલદાર અને આગળ ઉપર રાજ્યના દિવાન થનાર રાજા ટોડરમલને તે મળ્યો અને ગુજરાતની મ્હેસુલ વગેરે બાબતની એની સાથે મસલત કરી. ત્યાંથી પછી તે ફતેહપુર સીક્રી ગયો. અને તેતાલીસ દિવસ બહાર રહી વિજય વર્તાવી ત્યાં પહોંચ્યો.
આખા હિંદને એક શાસન તળે લાવવાની એની યોજના આ વખતે એટલે સુધી સફળ થઈ હતી કે પોતાના રાજ્યના અઢારમા વર્ષની આખરે વાયવ્ય, મધ્ય અને પશ્ચિમ હિંદનો પંજાબ અને કાબુલ સમેતનો તે માલીક થયો હતો. પૂર્વમાં કર્મણાસ સુધી તેની આણ વર્તાતી હતી. તે નદીની પેલી પાસ બંગાળા અને બીહારના સ્વતંત્ર અને કેટલાંક સંજોગોમાં ભય ઉપજાવનાર પ્રાન્તો આવી રહ્યા હતા. એટલે તેણે કાંઈ અણચિંતવ્યું આવી ન પડે તો પોતાના રાજ્યના ઓગણીસમા વરસમાં બંગાળા અને બંગાળાને ખંડણી આપતાં બીજાં રાજ્યો વશ કરવાનો નિશ્ચય કર્યો. આ સવારીમાં ઉપડતાં પહેલાં પેલી અજમેરની ટેકરી ઉપર આવેલી ફકીરની દરગાહની મુલાકાત લેવા તે ચૂક્યો ન હતો.
આ પાછળનાં પાનાંમાં અકબરની સવારીઓનું અને એના લશ્કરની સંખ્યા વગેરેનું મેં ઘણું લખ્યું છે. પણ આ હીલચાલો શા ધોરણ ઉપર ચાલતી હતી તે વિષે મેં હજી કાંઈ પણ સૂચન કર્યું નથી. આપણા જમાનાના માણસોના સ્મરણમાં પણ એવા લડવૈયા થઈ ગયેલા છે કે જેઓ લડાઈનું ખરચ લડાઈમાંથી પૂરૂં પાડે. આજ ધોરણ ઉપર–મુગલ સત્તા જ્યારે પડી ભાંગવાની તૈયારીમાં હતી, ત્યારે હિંદુસ્તાન ઉપર ચઢી આવેલા ખોરાસાની