પૃષ્ઠ:Akhegita.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કડવું ૬ ઠું - માયાથી જીવને સંસારબંધન

રાગ ધન્યાશ્રી

એમ માયા વેષ નાના ધરેજી, કર્મ ધર્મના શબ્દ નાના ઓચરેજી [૧];
જીવકેરા મનને અતિઘણું આવરે [૨], તેણે પુરંજન[૩] ભવફેરા ફરેજી.

પૂર્વછાયા

ફ્‍રે ફેરા બહ ભવવિષે, વિષયનો તાણ્યો [૪] વહે;
પ્રત્યક્ષ ભોગ દેખે ભલા, વળી પંડિતને પોષતો રહે; ૧

કર્મનાં ફલ લખે માયા, વળી માયા બેઠી તે કથે;
શબ્દકેરે બાંધણે [૫] ભાઇ, બાંધી જીવ રાખે જથે [૬]. ૨

અંતરમાંથી મનરૂપેં, સકલ્પ-વિકલ્પ સુત[૭] જણે;
નિમેષ [૮] નવા નવા, જ્યમ ઇંદ્રજાળ [૯]-ગુટિકા ગણે. ૩

કર્મ-ફલ ને જીવ-કેરો, જોગ [૧૦] માયા મેળાવે;
વિષય-તૃષ્ણામાંહે મૂકી, એમ જંતુને ભેળવે.[૧૧]

સ્વર્ગ-ભોગ દેખાડે, વળી બીક દેખાડે નર્કની;
તે કામનાઓ લાગ્યો ફરે, ભાઇ ગતિ જેવી કૂપચક્રની[૧૨]. ૫

કામ ધામ ને ધન દારા [૧૩], માત પિતા સુત બાંધવા;
વર્ણ વેષ ને રૂપ મુદ્રા, નમણ ઠમણ દેવ વંદવા. ૬

ચાક્ય ચાતુરી ચૌદ વિદ્યા, અવિદ્યા સર્વ સાધના[૧૪];
પંડિત કવિને ગુણિ જાણ દાતા, સર્વ માયાકેરિ આરાધના. ૭


  1. બોલે
  2. ઢાંકે
  3. જીવ
  4. ખેંચ્યો
  5. બંધને
  6. એકત્ર
  7. પુત્ર
  8. આંખ વીંચઅવા જેટલા સમયમાં માંહે
  9. ઇંદ્રજાળની ગોળીઓ
  10. સંબંધ
  11. ક્લેશ થાય એવી રીતે મેળવે છે.
  12. રેંટની
  13. સ્ત્રી
  14. એ સર્વ અજ્ઞાતની ઉપાસના છે.