એ અસર જેટલે દરજ્જે થશે તેટલે દરજ્જે આપણે દિલગીર થઇએ. પણ ગાંધીજીના ઉપવાસથી બીજાં ભારે પરિણામો આવતા હોય તો તેનો આપણે ઇનકાર ન કરીએ.
જે પરિણામ લાવવાને સારૂ ઉપવાસ લેવાયો છે એ તપાસીએ. ગાંધીજીએ જોયું કે મજુરોમાં પ્રતિજ્ઞાની કિંમત ઓછી થવા લાગી હતી. તેઓએ માની લીધેલી ભૂખની બીકથી તેઓમાંના કેટલાક પ્રતિજ્ઞા છોડવા તત્પર થયા હતા. દસ હજાર માણસ પોતાની પ્રતિજ્ઞા છોડે એ અસહ્ય વાત ગણાય. પ્રતિજ્ઞા ન પાળવાથી માણસ નિર્બળ થાય છે ને છેવટે પોતાની માણસાઈ ખોઇ બેસે છે. એટલે પ્રતિજ્ઞા પાળી શકવામાં લોકોને જેટલી અને તેટલી મદદ કરવી એ આપણા બધાનો ધર્મ થઇ પડ્યો. ગાંધીજીએ વિચાર્યું કે જો પોતે ઉપવાસ કરે તો પ્રતિજ્ઞાની કિંમત પોતે કેટલી આંકે છે તે ખરૂં પડે. વળી મજુરો ભૂખે મરવાની વાતો કરતા હતા. ભૂખે મરવું પણ પ્રતિજ્ઞા પાળવી, આ ગાંધીજીનું વાક્ય. એ તેઓએ તો ખરૂં પાળવું જ જોઇએ. એ તો પોતે ભૂખે મરવા તૈયાર થાય તો જ ખરૂં પડે. મજુરો કહેવા લાગ્યા કે અમે મજુરી ન કરીએ છતાં અમને પૈસાની મદદની જરૂર છે. આ વાત ઘણી ભયંકર લાગી. મજુરો આવી વાત કરે તો દેશમાં અવ્યવસ્થા થાય તેનો પાર જ ન આવે. લોકોને મજુરી કરવાનું કષ્ટ ઉપાડવાનું અસરકારક રીતે ગાંધીજી એક જ રીતથી બતાવી શકે. પોતે કષ્ટ ઉઠાવવું જોઇએ. પોતાની મજુરી તો હતી પણ તે બસ ન હતું. ઘણા અર્થ સરે એવી વસ્તુ તેમણે ઉપવાસ માની અને તેમણે તે શરૂ કર્યો. તે ઉપવાસ જ્યારે મજુરોને ૩૫ ટકા મળે ત્યારે