પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩


૧. જુલાઈના પગાર ઉપર ૩૫ ટકાનો વધારો ન મળે ત્યાં સુધી કામે ન ચઢવું.

૨. ‘લૉક આઉટ’ ચાલે છે તે દરમ્યાન કોઈપણ પ્રકારનું તોફાન નહિ કરવું, મારામારી નહિ કરવી, લૂંટફાટ નહિ કરવી, માલિકોની મિલ્કતને નુકસાન નહિ કરવું, ગાળાગાળી નહિ સંભળાવવી અને શાન્તિથી રહેવું.

આ પ્રતિજ્ઞા પરમેશ્વરને સાક્ષી રાખીને સૌને લેવાનું કહેવામાં આવતું, અને આખી સભામાં એક પણ જણ એવો ન હતો કે જે સભાના એક અવાજમાં પોતાનો અવાજ નહિ ભેળવતો. કામ પર ન ચઢવાની પ્રતિજ્ઞાથી સંભવનારા દુઃખ સંબંધે ઈસારો કરીને મહાત્માજી બોલ્યા હતા:

“આજે લૉક આઉટનો પાંચમો દિવસ છે. તમારામાંના કોઇક ધારતા હશે કે આઠ દિવસ પંદર દિવસ આ દુઃખ સહન કરી લઇશું, એટલે બધું ઠીક થઈ જશે. હું તમને ફરીથી કહું છું કે આપણે ભલે આશા રાખીએ કે થોડા દિવસમાં આ કામ પૂરું થઈ જશે, પણ તેમ આશા રાખતા છતાં એવો મક્કમ વિચાર રાખશું કે આપણી આશા પાર ન પડે તો મરશું ત્યાં સુધી કામ પર જોડાશું નહિ. મજુરો પાસે પૈસા નથી પણ પૈસાના કરતાં વધારે સારૂં ધન, એના હાથ, હિંમત અને ખુદાનો ડર છે. કોઈ વખત એવો આવશે કે તમે ભૂખે મરો તો ભરોસો રાખજો કે તમને ખવડાવીને અમે ખાઈશું, તમને ભૂખ્યા મરી જવા નહિ દઇએ.”

કેટલાક મજુરોએ ૩૫ ટકા બહુ ઓછા છે એમ કહ્યું તેમને ઉદ્દેશીને મહાત્માજી બોલ્યા હતા :