આવ્યા હતા કે મજુરોના હૃદયની ઉપર, મજુરોની લાગણી ઉપર અસર કરીને તમે તેને ટકાવી રાખો, તેમના ઉપર જુલમ કરીને નહિ. તુરત અતિશય પ્રમાણિકપણાથી ઉભરાતી પત્રિકા બીજે દિવસે કાઢવામાં આવી. “મજુરોની લડતનો આધાર કેવળ તેઓની માગણીના અને તેઓના કાર્યના ન્યાયની ઉપર રહેલો છે. જો માગણી ગેરવાજબી હોય તો મજુરો જીતી ન શકે. માગણી વાજબી હોય પણ માગેલું મેળવવામાં અન્યાય વાપરે, જૂઠું બોલે, ફિસાદ કરે, બીજાઓને દબાવે, આળસ કરે અને તેથી સંકટ ભોગવે તોપણ તે હારી જાય.”
પણ કંઈક આ પત્રિકાથી, તો કંઈક રોજરોજ ઉભા થતા સંજોગોને લીધે અણધાર્યું પરિણામ તૈયાર થતું હતું. આ પત્રિકાની અસર અતિ ઉત્સાહીઓ ઉપર કંઈક વિપરીત થઈ. ઘણાકોને તો મજુરોને અટકાવી રાખવાના પોતાના પ્રયત્નો માટે સાબાશી મળવાની આશા હતી તેમને કંઇક આઘાત પહોંચ્યો. મૂળ અણસમજુ વર્ગ એટલે કેટલાકને આ નિખાલસ સલાહથી માઠું લાગ્યું. તેઓ તો નબળા મજુરોને કહેવા લાગ્યા કે જેને જવું હોય તે જાઓ, માર્ગ ખુલ્લો છે, કોઇએ રોકી નથી રાખ્યા. જેઓ નૈતિક દબાણ વાપરતા હતા તેઓ નૈતિક દબાણ શિથિલ કરવા લાગ્યા. આથી ઘણા મજુરોનાં મન ફેરવાયાં. કોઈ કેમ બોલવા લાગ્યા, કોઈ કેમ બોલવા લાગ્યા. મજુરોની રોજની મુલાકાત લેવાને બ્હેન અનસૂયા, ભાઈ શંકરલાલ બૅંકર અને ભાઈ છગનલાલ ગાંધી નિયમિત જતા જ હતા. જે મજુરોને મજુરી કરવાનું મન હતું તેઓ આશ્રમમાં આવીને મજુરી કરી પોતાની મજુરી