સાકર પોતાની મીઠાશ છોડે એવી વાત થઈ. દરીયો પોતાની ખારાશ છોડે તો આપણને મીઠું ક્યાંથી મળે? મજુર મજુરી છોડે તો આ દુનીયા રસાતળ થઈ જાય. શીરીનને ખાતર ફરહાદે પથ્થર ફોડ્યા; મજુરોની શીરીન તેઓની ટેક છે, તેને ખાતર મજુરો પથ્થર કેમ ન ફોડે ? સત્યને ખાતર હરિશ્ચન્દ્ર વેચાયા; પોતાના સત્યને ખાતર મજુરો કાં મજુરી કરવામાં દુ:ખ હોય તો તેટલું દુ:ખ સહન ન કરે ? ટેકને ખાતર ઇમામ હસન અને હુસેને ભારે દુઃખ ઉઠાવ્યાં; ટેક રાખવા સારૂં આપણે કેમ મરવાને તૈયાર ન રહીએ ?’
આ ઉદ્ગારો ઉપર વિવેચન ઉપરાંત મજુરોને નવી ઉપસ્થિત થયેલી સ્થિતિ સમજાવવા માટે તે દિવસે સાંજે એક બહુ સુંદર ભાષણ પણ મહાત્માજીએ કહ્યું હતું. તેમના મહત્ત્વના ઉદ્ગારો નીચે ટાંક્યા છે:
‘આજે સવારે શું કામ થયું, તેની ખબર પડી હશે. કેટલાકને ભારે આઘાત થયો, કેટલાક રોઈ પડ્યા, સવારનું કામ કાંઈ ખોટું થયું છે અથવા શરમાવા જેવું થયું છે એમ મને લાગ્યું નથી. જુગલદાસની ચાલીવાળાઓએ જે ટીકા કરી તે માટે મને ગુસ્સો નથી આવતો. તેમાંથી તો મારે, અથવા જેને હિંદની સેવા કરવી છે તેણે ઘણું સમજવાનું છે. હું માનતો આવ્યો છું કે આપણી તપશ્ચર્યા અથવા જ્ઞાનપૂર્વક દુઃખ ઉઠાવવાની શક્તિ ખરી હોય તો તેમાંથી ફળ આવ્યા વિના રહે જ નહિ. મેં તમને એક જ સલાહ આપી તેને અનુસરીને તમે કસમ લીધા. આ જમાનાની અંદર કસમની કિંમત ચાલી ગઈ છે. કસમ ગમે ત્યારે ગમે તેમ માણસો તોડે છે, અને કસમની આવી