મને કહ્યું કે: ‘તમારી ખાતર અમે ૩૫ ટકા આપીએ.’ પણ મારે સારૂ ૩૫ ટકા એ લોકો આપે એ તો મને સમશેરના ઝાટકા સમું લાગે છે. હું એ વિચાર જાણતો હતો પણ હું પ્રતિજ્ઞા નહિ છોડી શક્યો, કારણ મેં બીજો વિચાર કીધે કે ૧૦૦૦૦ માણસો પડે એ તો ખુદાનો ખોફ કહેવાય. મારે સારૂ અતિશય નીચાજોણું છે કે મારી ખાતર તમને ૩૫ ટકા મળે.’
આમ ચર્ચા ચાલતી હતી અને ઉપવાસના દહાડા વધતા જતા હતા. ઉપવાસ ગાંધીજીના શરીરમાં શિથિલતા ઉત્પન્ન કરવાને બદલે, જાણે તેમની સ્ફુર્તિમાં વધારો કરતો હતો. તેમને સમજાવવાના, તેમના ઉપવાસની પ્રતિજ્ઞા છોડાવવાના અનેક દિશામાંથી પ્રયત્ન ચાલુ જ હતા. અગાઉ કહેવામાં આવ્યું છે કે રા. અંબાલાલભાઇને આ પ્રતિજ્ઞાથી ભારે આઘાત પહોંચ્યો હતો, એટલે ગાંધીજીને સમજાવવાના તેમના પ્રયત્ન પણ ભારે હતા. પોતાના પક્ષ માટેની તેમની મુખ્ય દલીલ એ હતી કેઃ ‘આવી રીતે વારંવાર મજુરો મનસ્વી રીતે અમારી સામે થાય અને તેમને બહારથી ઉત્તેજન મળે એ તો સહ્ય થઈ શકે એવું જ નથી. એમ થયા કરે તો મારામાં વિનય જેવી કોઈ ચીજ જ રહે નહિ અને આવી રીતે અમારી અને મજુરોની તકરાર વખતે હર વખત અમારે ત્રીજાની મધ્યસ્થી કરવી પડે એ અમને શોભાભરેલું નથી, એમાં અમારું માન રહેતું નથી. આપ જો ભવિષ્યમાં અમારો અને મજુરોને પ્રશ્ન અમારે માટે જ રાખી, હમેશને માટે તમારા હાથ એ બાબતમાંથી ધોઈ નાંખો તો અમે તુરત ૩૫ ટકા આપીએ.’ આ