તેઓએ રજા લીધી, અને માલિકોનો લૉક-આઉટ શરૂ થયો. મજુરો તરફના પંચોને પોતાની જવાબદારી એવી જણાઈ કે તેઓએ મજુરોને કાંઈ પણ સલાહ આપવી જ જોઇએ, અને યોગ્ય વધારો શો માગી શકે છે એ જણાવવું જ જોઈએ. તેથી તેઓએ મસલત કરી અને માલિકો તથા મજુરોનું હિત વિચારી અને આસપાસનું બધું તપાસી ૩૫ ટકાનો વધારો યોગ્ય છે, અને તે માગવાની મજુરોને સલાહ આપવી એમ ઠરાવ્યું. તે સલાહ આપતાં પહેલાં ૩૫ ટકાનો વધારો ઠરાવવાનો ઇરાદો માલિકોને જણાવ્યા અને જો તેની સામે તેઓને કાંઇ પણ કહેવું હોય તો તે વિચારવાનું પણ જણાવ્યું. માલિકોએ આ બાબત પોતાનો વિચાર ન જણાવ્યો. મજુરોએ પાતાની માગણી ૫૦ ટકાના વધારાની હતી તે ખેંચીને ૩૫ ટકાનો વધારો માગવાનો ઠરાવ કર્યો.
મજુરોની પ્રતિજ્ઞા
જુલાઈના પગાર ઉપર ૩૫ ટકાનો વધારો ન મળે ત્યાં સુધી કામે ન ચઢવું.
તોફાન નહિ કરવું, મારામારી નહિ કરવી, લૂંટફાટ નહિ કરવી, માલિકોની મિલ્કતને નુકસાન નહિ કરવું, ગાળાગાળી નહિ સંભળાવવી અને શાંતિથી રહેવુ. મજુરો પોતાની પ્રતિજ્ઞામાં કેમ સફળ થાય તેનો
વિચાર આ પત્રિકાના બીજા અંકમાં કરવામાં આવશે.મજુરોને એવી સલાહ આપવામાં આવે છે કે તેઓને કંઈ પણ કહેવું હોય તો કોઈ પણ વખતે તેઓ મારે બંગલે આવીને કહી શકે છે.