પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રુદ્રો, આદિત્યો, વસુઓ, સાધ્યો, વિશ્વદેવ અશ્વનીકુમાર, મરુતો, ઊનું જ પીનારા પિતરો, ગંધર્વ, યક્ષ, અસુર અને સિદ્ધોનો સંઘ એ બધાય વિસ્મય પામતા તમને નીરખે છે. ૨૨.

[નોંધ : શરીરની ઉષ્ણતા ટકે ત્યાં સુધી જ એમાં પ્રાણ ટકી શકે છે. એ ઉષ્ણતા આપણે અન્નમાંથી મેળવીએ છીએ. સૂક્ષ્મ શરીરવાળા પિતરો પ્રત્યક્ષ અન્ન ન ખાઈ શકે પણ એની ઉષ્ણતા જ સીધી પી લે છે એવી માન્યતા તે વખતે હશે. એટલે પિતરોને ઉષ્મપા કહ્યા છે. -કા૦]

હે મહાબાહો ! ઘણાં મુખ અને આંખોવાળું, ઘણા હાથ, જાંઘ અને પગવાળું, ઘણાં પેટવાળું, ઘણી દાઢો વડે વિકરાળ દેખાતું વિશાળ એવું તમારું રૂપ જોઈને લોકો વ્યાકુળ થઈ ગયા છે તેમ જ હું પણ વ્યાકુળ થયો છું. ૨૩.

આકાશનો સ્પર્શ કરતા, ઝળહળતા, અનેક રંગવાળા, ઉઘાડાં મુખવાળા અને વિશાળ તેજસ્વી આંખોવાળા, તમને જોઈને હે વિષ્ણુ ! મારું અંતર વ્યાકુળ થયું છે ને હું નથી રાખી શકતો ધીરજ કે શાંતિ. ૨૪.

પ્રલયકાળના અગ્નિ સમાન અને વિકરાળ દાઢોવાળાં તમારાં મુખ જોઈને મને નથી સૂઝતી દિશા કે નથી પામતો હું શાન્તિ; માટે હે દેવેશ ! જે જગન્નિવાસ ! પ્રસન્ન થાઓ. ૨૫.

૧૧૪