પૃષ્ઠ:Anashakti Yog.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
-

પાલન વિના સંપૂર્ણ કર્મફલત્યાગ મનુષ્યને વિશે અસંભવિત છે.

ગીતા સૂત્રગ્રંથ નથી. ગીતા એક મહાન ધર્મકાવ્ય છે. તેમાં જેમ ઊંડા ઊતરો તેમ તેમાંથી નવા ને સુંદર અર્થો મેળવો. ગીતા જનસમાજને સારુ હોઈ તેમાં એક વસ્તુને ઘણી રીતે કહી દીધી છે. એટલે ગીતામાં આવેલા મહાશબ્દોના અર્થ યુગે યુગે બદલાશે ને વિસ્તાર પામશે. ગીતાનો મૂળ મંત્ર કદી નહીં બદલાય. એ મંત્રને જે રીતે સાધી શકાય તે રીતે જિજ્ઞાસુ ગમે તે અર્થ કરે.

ગીતા વિધિ-નિષેધ બતાવનાર સંગ્રહ ગ્રંથ પણ નથી. એકને જ સારુ જે વિહિત હોય તે બીજાને સારુ નિષિદ્ધ હોય. એક કાળે કે એક દેશમાં જે વિહિત હોય તે બીજે કાળે, બીજા દેશમાં નિષિદ્ધ હોય. નિષિદ્ધ માત્ર ફલાસક્તિ છે, વિહિત અનાસક્તિ છે.

ગીતામાં જ્ઞાનનો મહિમા જળવાયો છે. છતાં ગીતા બુદ્ધિગમ્ય નથી, એ હૃદયગમ્ય છે તેથી તે અશ્રદ્ધાળુને સારુ નથી. ગીતાકારે જ કહ્યું છે :