પૃષ્ઠ:Anashakti Yog.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અર્જુનવિષાદ યોગ


સારું શું અને માઠું શું એ જાણવાની ઈચ્છા સરખી જેના મનમાં ન થાય તેની પાસે ધર્મની વાતો શી? ધર્મજિજ્ઞાસા વિના જ્ઞાન મળે નહીં. દુ:ખ વિના સુખ નથી. ધર્મવેદના, ધર્મસંકટ, હ્રદયમંથન સહુ જિજ્ઞાસુને એક વખત થાય જ છે.

धृतराष्ट्र बोल्या :

હે સંજય ! મને કહો, કે યુદ્ધ કરવાની ઈચ્છાથી ધર્મક્ષેત્રરૂપ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું ? ૧.

નોંધ : કુરુક્ષેત્રની લડાઈ એ નિમિત્ત માત્ર છે. અથવા ખરું કુરુક્ષેત્ર આપણું શરીર છે. પાપમાં તેની ઉત્પત્તિ છે અને પાપનું એ ભાજન થઈ રહે છે; તેથી તે કુરુક્ષેત્ર છે.

તે કુરુક્ષેત્ર છે તેમ જ ધર્મક્ષેત્ર પણ છે કેમ કે એ મોક્ષનું દ્વાર થઈ શકે છે.

જો તેને આપણે ઈશ્વરનું નિવાસસ્થાન માનીએ અને કરીએ તો તે ધર્મક્ષેત્ર છે. તે ક્ષેત્રમાં આપણી સામે રોજ કાંઈ ને કાંઈ લડાઈ હોય છે.

કૌરવ એટલે આસુરી વૃત્તિઓ. પાંડુપુત્રો એટલે દૈવી વૃત્તિઓ. પ્રત્યેક શરીરમાં સારી અને નઠારી વૃત્તિઓ વચ્ચે યુદ્ધ ચાલ્યા જ કરે છે એમ કોણ નથી અનુભવતું ?