સામી ખુરશીમાં બેસી રહી, કશું બોલી નહીં. એની અબોલ દશા એક સંકેત એમ બની. માણસો ત્યાંથી હટીને ધીરે ધીરે બહાર નીકળી ગયા.
“કેમ છે ?” સરસ્વતીએ પૂછ્યું.
શિવરાજે વેદનામધુર મોં હલાવ્યું.
“હું નહોતી કહેતી ? કાલની સભાનો થાક છે. તમે બહુ ગંભીર બની જઈને બધી વાતો મન પર લઈ લો છો.”
“કાંઈ નથી. બે દિવસમાં જ ટટાર બની જઈશ.”
“હું રોકાઉં ? બાપુજીને પૂછું ?”
“ના રે ના, નથી જ રોકાવાનું.”
“મારી દયા હવે કેટલાક દિવસ ખાશો ?”
“સાહેબ બન્યો છું એટલે ગુનેગારો પર રહમદિલ તો રહેવું જ જોઈશે ને ?” શિવરાજ હસ્યો.
“હજુ તો વાર છે. હજુ મેં આપસાહેબ ગરીબપરવરનો ગુનો નથી કર્યો.”
“ગુનાનો સંકલ્પ તો કર્યો છે ને ?”
“એ જ ગુનો, એમ ને ?”
“બીજું શું ?”
“જુઓ તો ખૂબી ! ગુનાના ભાગીદાર પોતે તો ન્યાયાસને ચડી ઇન્સાફ તોળવા બેઠા છે !”
આ શબ્દ પણ શિવરાજને દ્વિઅર્થી લાગ્યા. સરસ્વતી શું ભેદ કળી ગઈ હતી ?
“બાપુજીને બોલાવોને અંદર.” શિવરાજે પોતાનું રક્ષણ શોધ્યું.
થોડી વારે પિતાપુત્રી ચાલ્યાં ગયાં. શિવરાજની મનોવસ્થા સચેત થઈ, એટલે ફરી પાછા એના એ તાર કંતાતા થયા. દસ મહિના સુધી તોળાઈ રહેલી ભેખડ જાણે છેક આજે જાતી એના માથા પર ફસકી પડી. અજવાળીએ પાપ કર્યું હશે તે વાત ખરી. પણ પહેલું પાપ કોનું ? પાપની પહેલ કરનારો હું, તે જ ઊઠીને અજવાળી પર ન્યાય તોળવા — ન્યાય તોળવા કદાચ નહીં, કેમ કે આ તો કેસ ઉપલી કોર્ટમાં કમિટ કરવાનો હતો, પણ સાક્ષીપુરાવા સાંભળવા, કેસને કમિટ કરવાને પાત્ર ઠરાવવા, એટલે કે અજવાળીને ઉપલી અદાલતની આંધળી આંખો સામે ફગાવી દેવા — શી રીતે બેસી શકીશ ? બાપુજી જીવતા હોત તો આ મુકદમો કેવી રીતે ચલાવત ? બાપુજીને પગલે ચાલવાની ગઈ કાલની પ્રતિજ્ઞા શું એક તમાશાની વસ્તુમાત્ર હતી ? ‘મારું ગમે તે થાય !’ — એ શબ્દોનો અર્થ શો હતો !
નહીં, નહીં: હું અજવાળીનો કેસ મારા હાથમાં જ નહીં લઉં; હું માંદગીની લાંબી રજા ઉપર ઊતરી જઈશ.
બપોરે શિરસ્તેદાર આવ્યા, તેમને શિવરાજે પોતાની ઈચ્છા જણાવી.
“અરે સાહેબ !” ચશ્માંને કપાળ પર ચડાવીને શિરસ્તેદારે કહ્યું, “આવો ઇન્ટરેસ્ટિંગ કેસ છે, આપને બહુ ગમ્મત પડત.”
“નહીં શિરસ્તેદાર, થાણદારને કહો, એ ચલાવશે.”
શિરસ્તેદારને શિવરાજ બેવકૂફી કરતા જણાયા. આવા ‘ઇન્ટરેસ્ટિંગ’ કેસમાં કેવી ઝબકી ઊઠવાની તક હતી ! સાહેબ તક ગુમાવે છે.
કુંવારા સાહેબ આવા રસિક કિસ્સાની વિગતોને માણવાનો કેવો લાગ ખુએ છે !