પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારી બિડાઈ ગઈ
૨૭
 


“શિવરાજને ચેલો મૂંડ્યો જણાય છે !” બાપે અંતરના ઊંડાણમાં પ્રસન્નતા અનુભવી.

“તમે જોજો તો ખરા અમે બેઉ થઈને તમારા કાઠિયાવાડમાં આગ મૂકશું.”

‘આગ મૂકશું’ એ પ્રયોગ સરસ્વતી એવી તો છટાથી ને દાઝભરી બોલી કે શિવરાજ એના હોઠ પર ધુમાડાની શેડ્ય કલ્પતો થયો.

“હું મારા ગુરુજીની પાસે પહોંચીશ, એમને કહી મુંબઈથી બૅરિસ્ટરો ઉતારીશ. હું તૈયાર થાઉં છું.” એમ કહેતી એ ત્યાંથી ઊઠી ગઈ. મકાનના એક છેડાથી બીજા છેડા સુધીની ધરતી ગાજી રહી.

“શિવરાજ,” ડેપ્યુટીએ સિગારેટ ખેંચતાં ખેંચતાં કહ્યું : “સરસ્વતી નવી ધૂનો લઈને આવી છે. મને તો જૂની આંખે નવો જમાનો સમજાતો નથી. તમે એની રક્ષા કરજો, હો ! એ પૂરપાટ ઘોડા પેઠે ક્યાંક ઠોકર ખાઈને ભાંગી ન પડે.”

સરસ્વતીના પિતાના શબ્દોમાંથી શિવરાજને મીઠા ભાવિના ભણકારા સંભળાયા.

સંધ્યાકાળ થયો. છાપું આવ્યું. ધ્રુજતે હાથે ડેપ્યુટીએ છાપુ ખોલ્યું. દર અઠવાડિયે આ વાર અને આ સંધ્યાકાળ એનું લોહી શોષી લેતો. છાપામાં પોતાનું શું નીકળી પડશે ! એ વાતનો અનેકનાં દિલો પર મોટો ધ્રાસકો હતો. અધિકારીવર્ગનાં તો લોહી થીજી જતાં. પોતાને વિશેના આક્ષેપથી રહિત અંક દેખાવો એ તો એક વિરલ આનંદની વાત હતી.

“લ્યો, ભાઈ !” વાંચતાં વાંચતાં ડેપ્યુટીએ કેમ્પના વર્તમાન મોટેથી સંભળાવ્યા : “આંહીંનો એક ધારાશાસ્ત્રનું શિક્ષણ લેતો જુવાન, એક નજીકના રાજ્યના મોટા અધિકારીનો સંબંધી, ગરીબ કિસાનની બહેન-દીકરીઓને ફસાવી રહ્યો છે. વિશેષ હવે પછી.”

વાંચી ગયા પછી જ ડેપ્યુટીને ભાન આવ્યું કે પોતે ભૂલ કરી છે. જેને આ ફકરો લાગુ પડે છે તે તો સામે જ બેઠો છે. એના મોં પરથી નૂર ઊડી ગયું હતું.

ચુપચાપ ડેપ્યુટીએ છાપું બીડીને મૂકી દીધું. શિવરાજના મોં પર જાણે રૂની પૂણીઓ વળવા લાગી.

“જાવ, તમે તમારા અભ્યાસમાં ડૂબી રહો. સરસ્વતીને જાણ નહીં થવા દઉં.” દીકરીના બુઢ્‌ઢા બાપે શિવરાજને પોતાના ભાવિ માટે સલામત રાખવા ફાંફાં માર્યાં.

શિવરાજ બેઠો હતો ત્યાં જ સુજાનગઢથી એના પિતાની ગાડીનાં પૈડાં બોલ્યાં.

બેઉ બુઢ્‌ઢાઓએ એકલા પડવાની ઇશારત કરી લીધી. ડેપ્યુટીએ સરસ્વતીને હાક મારી. સરસ્વતી આવી. બાપે કહ્યું : “તું શી ધમાચકડ કરી રહી છે ?”

“અમદાવાદ જવાની.”

“કોની પાસે ?”

“ગુરુજીની પાસે. એમને જઈને આ કેસની વાત કરીશ.”

“વારુ જા, પણ અત્યારે તો શિવરાજને કાંઈ નાસ્તો કરાવીશ કે નહીં ? છોકરો ભૂખ્યો થયો હશે. જા, બહાર બગીચામાં બેસારી કાંઈક ચવાણું પીરસ.”

સરસ્વતી શિવરાજને બાગમાં લઈ ગઈ અને શ્વાસ પણ છોડ્યા વિના કહેવા લાગી :

“હું ખાવાનું લાવું છું. પણ તમે ખરું કહો, આ ખૂન કરનાર બાઈને આપણે બચાવવી જોઈએ કે નહીં ? એનો શો અપરાધ ? એ મારી ન નાખે તો શું કરે ? હું તો સહી શકતી નથી.”

શિવરાજનું દિલ છાપાના સમાચારથી વિકળ હતું. વળી એને સરસ્વતીની ધૂનમાં વધુ ને વધુ શુષ્કતા લાગી. વળી એના પેટમાં ભૂખ પણ હતી. ભૂખ્યા માણસને સ્ત્રી સેવાના,