પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
અપરાધી
 


બીકે વિજય મેળવ્યો હતો. આવતું પ્રભાત ઊગવાનું તો છે જ , એવા અટલ નિમાર્ણ પરથી પણ એની આસ્થા ડગી ગઈ હતી. જીદ કરીને મેળામાં જવાનું જોર ઘડીભરનું હતું,

“ઊઠ; આ મારા ધોતિયાથી કપડાં બદલાવી લે, બાજુના ઓરડામાં બત્તી લઈને જા !”

શિવરાજે પોતાનું ધોતિયું એના હાથમાં મૂક્યું. સ્ટવ પેટાવ્યો, કોલસા સળગાવ્યા, સગડી ભરી, પંખો માર્યો. થોડા વખતમાં તો અંગારા ગુલાબી હાસ્ય કરવા લાગ્યા, સગડી લઈ જઈને એણે અંદરના ખંડમાં મૂકી કહ્યું : “લે, તાપવા માંડ જલદી,”

શ્વેત ધોતીમાં લપેટાયેલો એક ખેડુ-પુત્રીનો ભરાવદાર દેહ શિવરાજ નામના એક યુવકે યૌવનના સળવળતા સૂર્યોદયે એક નિર્જનતાની વચ્ચે નિહાળ્યો. નિહાળતાં જ એના રોમેરોમમાં ધ્રુજારીની એક લહર, ઊભા ચારાટિયાની અંદરથી લહેરાતા હિલોળા જેવી રમતી થઈ.

“તું કાલે ક્યાં જઈશ ?” શિવરાજે આ ઓરડામાં બેઠે બેઠે પૂછ્યું.

“શી ખબર ?” કરુણ જવાબ આવ્યો.

“તારા બાપને મનાવી લઉં તો ?”

“બહુ મારે છે.”

“તારે સાસરે ?”

“છે જ નહીં.”

“કેમ ? પરણી’તી ને ?”

“તોડાવી નાખ્યું.”

“બીજે પરણાવે નહીં ?”

“પૈસા સારુ પરણાવે છે એક કોઢિયા બુઢ્‌ઢા હારે. મેં ના પાડી છે, એટલે તો મારા વાંસામાં ને માથામાં ધોકલા પડ્યા છે.”

દીવાના અજવાળાએ ફક્ત ધોતીભર બેઠેલા અજવાળીના દેહની વધુ ને વધુ ચાડી ખાધી. જે શરીર પર માર પડ્યો હતો તે શરીરની કુમાશ પણ ગુલાબી કોલસાની બળતી સગડી બતાવતી હતી.

શરણાગતિનો ભાવ શિવરાજના અંતરમાં વધુ વધુ ઘૂંટાતો ગયો. મેંદીનાં લીલાં પાંદે જાણે કે ધીમે ધીમે લાલપ મૂકી. પોતાનું શરણાગત માનસિક અસહાયતા ભોગવતું બેઠું છે. એને છેક દિલનાં દ્વાર સુધી લીધા વગર શરણદાતા જંપે નહીં. એનો સંપૂર્ણ ત્રાતા ને રક્ષણહાર, એની બાજુએ ઊભો રહીને લડનાર, ઘવાનાર, લોહીલોહાણ થનાર, પોતાની જાત ફના કરનાર શું કોઈ નથી ? હું ન કેમ બનું ? કેવું શરણાગત ! કેવું સુકોમલ ! કેવું કરુણાપ્રેરક ! મૂંગા મારની લાકડીઓ ઝીલનારું આ શરીર !

શરણાગતિના સીમાડા નજીક આવ્યા… ઓળંગાઈ ગયા… કેટલેય પછવાડે પડી રહ્યા… ને શિવરાજ આકર્ષણના સીમાડામાં, મોહિત દશાના પ્રદેશમાં, ઉત્ક્રાંત અવસ્થામાં, અસહાયતાની ચૂડમાં જઈ પડ્યો : એ અજવાળીની નજીક ગયો… અજવાળી ન ભડકી, ન ચમકી, ન ખસી કે ન સંકોડાઈ. આશરાધર્મની ભ્રમણા અતલ અંધારી ખાઈમાં માણસને ગબડાવી પાડે છે તે માનસિક ઘડી આવી પહોંચી. ત્યાં તો ચોકીદારનો ખોંખારો સંભળાયો :

“ખબરદા..ર! હૂ ! હૂ ! હૂ ! જાગતા સૂજો !” ચોકીદારની એ વાણીમાં કાળવાણીના ભણકારા હતા.

એ ભણકારા રાત્રિના હૃદયમાં વિલીન થયા.

ચોકિયાતની બૂમ ‘જાગતા સૂજો !’ શિવરાજને જાગ્રત ન કરી શકી. દિવસરાતના