તે જ રીતે શિવરાજની પાંપણો સરખે અંતરે ઝરતી હતી.
એકનો ડંકો પડ્યો ત્યારે શિવરાજની એકલતા તૂટી. એક બીજો યુવાન અંદર આવ્યો. એ લપાતો અને બીતો હતો. એ પછવાડે જોતો જોતો મીની-પગલે આવ્યો. એણે ચોમેર કાન માંડ્યા. ચકલાના પાંખ-ફરકાટથી પણ એ ફફડી ગયો.
શિવરાજે કહ્યું : “રામભાઈ, તમે જાઓ; નાહક દોષમાં આવશો.”
“શિવરાજ, તમે આ શું કર્યું ?”
“શું કર્યું ?”
“ખોટેખોટો અપરાધ કેમ કબૂલ કરી લીધો ?”
“તમે શી રીતે જાણ્યું કે ખોટેખોટો કબૂલ કર્યો ?”
“કહું?… કહું ?” રામભાઈએ ચોપાસ જોઈ લીધું; એની છાતી ધડક ધડક થઈ. એણે શિવરાજની પાસે જઈને એનો હાથ પકડ્યો. જાણે પોતે કોઈ ઊંડી ખીણમાં પડી જતો હતો. શિવરાજે એને પંપાળીને પૂછ્યું : “કહો, શું છે ?”
“ગઈ રાતના બનાવનો અપરાધી હું — હું પોતે જ છું, શિવરાજભાઈ !”
“હું એ જાણું છું.” શિવરાજે જ્યારે આ જવાબ વાળ્યો ત્યારે એના શામળા મોં ઉપર એક સુંવાળા સ્મિતની ઝાલક ઊડી.
“તમે જાણો છો ? — જાણતા હતા ?”
“હા; ગઈ રાતથી જ. હું નજરોનજરનો સાક્ષી હતો. તમે એકલા જ એ દુષ્ટને પૂરા પડ્યા; નહીંતર હું તમારી મદદે કૂદવાનો હતો. ઝબુની ઉપર ચડાઈ કરનારા તો એ હરામીઓ જ હતા.”
“છતાં તમે એ અપરાધ કેમ માથે લીધો ?”
“મેં માથે ક્યાં લીધો છે ? આચાર્યદેવને મેં ક્યાં એમ કહ્યું છે — કે હા, મેં જ એ કર્યું છે?”
“પણ તમે જાણતા હતા છતાં મારું નામ કેમ ન આપ્યું ?”
“મારે એવા સત્યવાદી થવાની શી જરૂર હતી ?”
“પણ તમે કલંકિત બન્યા, તમે માર ખાઈ રહ્યા, એ બધું શા માટે ? મારા માટે નહીં ?”
“ના રે ના —” શિવરાજ પોતાના આચરણનું મહત્ત્વ ઓછું આંકવાના પ્રયત્ન વગર સ્વાભાવિક રીતે જ બોલતો હતો : “મને તો ખીજ ચડી ગઈ, એટલે જ હું મૂંગો રહ્યો. આચાર્યદેવ કોઈપણ જાતની તપાસ કર્યા વગર મને જ એકદમ લેતા પડયા, એ હું ન સહી શક્યો. એ જૂઠા તો પડ્યા ને !”
શિવરાજની આ બધી વાતો રામભાઈને મૂંઝવી રહી. શિવરાજની ઉદારતા ઉપર એ ઓગળી પડ્યો. શિવરાજના નામ પર બેઠેલ બટ્ટાનો જવાબદાર એ પોતે જ છે : આવતી કાલે શિવરાજના બાપુને ખબર પહોંચશે એટલે શિવરાજનું આવી બનવાનું : બે દિવસમાં તો શિવરાજની કારકિર્દી પર પાણી ફરી જશે : ને એ બધું મારા પાપે !
“નહીં, નહીં, ભાઈ શિવરાજ.” એ ઉશ્કેરાઈને શિવરાજના ખભા ધુણાવવા લાગ્યો : “હું હમણાં જ આચાર્યદેવની પાસે જઈશ : હું મારો દોષ છે એ કબૂલ કરી આવીશ : હું બધી સજા માથે ચડાવી લઈશ.”
“હવે ગાંડા ન થાઓ ગાંડા !” શિવરાજે રામભાઈના હાથ પકડ્યા.