પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
અપરાધી
 


“અરે બાપ ! અજવાળી ચિંતાતુર ? એને ને ચિંતાને લાગે જ વળગે છે શું ! એ તો મદમસ્ત ફરે છે — ને રાતદહાડો ઘોરે છે. બસ, ‘ખાવાનું વધારે લાવો… ભૂખી છું… ખાવા લાવો !’ એ એક જ એની ચિંતા છે.”

“તમે શી સલાહ આપો છો ? ત્યાં તો એનાં લગ્ન થઈ શકે તેવું નથી.” શિવરાજે અજવાળીની વાતનો મામલો વર્ણવ્યો.

“હું તો કહું છું કે મુંબઈમાં ન્યાતજાત પૂછ્યા વિના પરણવા તૈયાર થનારા એક કરતાં એકવીસ છે. એને સોને મઢી નાખનારાઓ આંહીં આંટા ખાય છે.”

“તો એને સમજાવો ને પછી મને લખો.”

શિવરાજના હૈયાનો ઘણો ભાર હળવો થઈ ગયો : અજવાળી સુખી છે, પોતા પ્રત્યેના અનુરાગે પીડિત નથી, કોઈ બીજી ચિંતાએ સંતપ્ત નથી, મોજ કરે છે — અને સાવ સહજ છે કે એ પરણવાની વાત પણ કબૂલ કરી લેશે.

બસ, પછી હું છૂટો. પછી મારે અજવાળીની માને છેતરવી નહીં પડે, અને થોડા જ દિવસમાં સરસ્વતીના કંઠમાં મારી ભુજાઓ ભિડાઈ શકશે.

એક ઊર્મિગીત અંતરમાં લલકારતો લલકારતો શિવરાજ હળવાફૂલ હૈયે કેમ્પમાં પાછો આવ્યો.

પણ શિવરાજના આત્મામાં સમુદ્રની ભરતી હતી : સાયર-લહેરો એક પછી એક આવતી હતી.

કોઈને છેતરવું નહીં પડે એ વાત સાચી નહોતી. સરસ્વતીની સાથે લગ્નમાં જોડાવું હોય તો ખૂણેખૂણાની આત્મરજ ઝાડી નાખવી જોઈએ. પાછળથી સરસ્વતીને જાણ થાય તો સંસારનું સત્યાનાશ થાય. સરસ્વતીને કહી દઉં.

એ તિરસ્કારી કાઢશે તો ?

નહીં, નહીં. એના જીવનમાં વીતેલાં વીતકો એણે મને કહ્યાં હતાં. એ મને પણ ન્યાય આપશે. એને કહી જ નાખું.

દોહવાના ટાણે વાછરું ખીલેથી જે વેગે માનાં આઉમાં ધસે છે તે જ વેગે શિવરાજ સરસ્વતી પાસે ધસ્યો.

ડેપ્યુટીનો સામાન તે વખતે રાજકોટ રવાના થતો હતો. સરસ્વતી પોતાના ખંડને ખાલીખમ કરીને ઊભી હતી. એના હાથમાં ફક્ત એક જ વસ્તુ હતી : એના ભાગી ગયેલા ભાઈની જતનથી સાચવેલી છબી.

“આ તમારા ઘર સાચવશો ?” સરસ્વતીએ શિવરાજને પૂછ્યું.

“કેમ ?”

“નિષ્કલંક હોય તેની પાસે જ આ નિર્મળ છબી રાખવી સારી છે.”

પ્રહાર કરતી હતી ? ગર્ભિત કોઈ ટોણો મારતી હતી ? ખરેખર મને નિષ્કલંક માનતી હશે ? તો તો સમય થઈ ચૂક્યો છે. કહી નાખું. મોડું થશે તેટલો મહાઅનર્થ નીપજશે.

પણ ડેપ્યુટી આવી પહોંચ્યા, અને શિવરાજને પોતાના ખંડમાં તેડી ગયા.

શિવરાજને સૂઝ પડી આ વૃદ્ધને જો પાછળથી જાણ થશે તો ? તો એના આઘાતનું શું ? એને જ પૂછી ન જોઉં ?

શિવરાજે શરૂ કર્યું : “એક વાતમાં આપની સલાહ લેવી છે.”

“કોની — તમારી વાત ?”