પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છુટકારાની લાગણી
૭૧
 


“નહીં, મારો જૂના વખતનો એક અસીલ સ્નેહી છે તેની વાત છે. એણે મને પુછાવ્યું છે. મને કાંઈ ગમ પડતી નથી.”

“વાત કહો.”

“એ એક ખાનદાન કુટુંબનો યુવાન છે. સામે એવી જ ખાનદાન એક કન્યા છે. બંને વચ્ચે બેહદ પ્રેમ છે. બેઉ પરણવા માગે છે. પણ પુરુષના જીવનમાં એક નાનો એવો પ્રસંગ અજાણે બની ગયો છે : એક બીજી, હલકા વર્ણની કન્યા જોડે…”

“અજાણે ?”

“જી હા, તદ્દન એક અકસ્માતરૂપે.”

“એને પ્રેમ નહોતો ?”

“જી ના, ઓળખાણ પણ નહોતું.”

“હં.”

“એ પુરુષ ગાંઠ વાળી બેઠો છે કે જેને પોતે ભ્રષ્ટ કરેલી છે તેની વેરે જ પોતે પરણવું.”

“પોતે એને ચાહતો નથી તોપણ ?”

“તોપણ.”

“પોતાને એ કન્યા ચાહે છે ?”

“ના.”

“તોપણ ?”

“તોપણ.”

“એ ભૂલ કરે છે. પોતાનો ને એ કન્યાનો બેઉનો સંસાર એ ભસ્મ કરી નાખશે. કેમ કે બંને વચ્ચે, તમે કહો છો તેમ, પ્રેમ તો છે જ નહીં, છે કેવળ બની ગયેલી ભૂલનો સાંસારિક પશ્ચાત્તાપ અને કલંકભાવ.”

“હા જી.”

“એ ભૂલનો ભોગ કન્યા બીજી કોઈ રીતે થઈ પડી છે ખરી ? ભૂલ ન જ સુધરી શકે એવું તો નથી બન્યું ને ?”

શિવરાજ ઝબક્યો એણે કદી ન વિચારેલું એની સામે ડોળો ઘુરકાવતું ઊભું થયું. એને ખબર તો કશી જ નહોતી. એણે જલદી પ્રત્યુત્તર વાળ્યો : “આં-ના-ના-જી.”

“એ કન્યા એ જુવાનને ફજેત કરે તેવું ખરું ?”

“જી ના, એ તો બીજે પરણી જવા રાજી જણાય છે.”

“બસ, તો પછી એ જુવાન પોતાની પ્રેમી કન્યાનું દિલ વિના કારણે ન ભેદે, અને આખી વાત પર પડદો જ પાડી નાખે. જુવાનોએ જીવનના વહેવારમાં સરલ બનતાં શીખવું જોઈએ. પેટ ચોળીને શૂળ ઊભું કરવાની શી જરૂર છે ? હોય, બન્યા કરે છે. એનાં તે ઢોલ પિટાવવાના હોય ? ભૂલ થઈ ત્યાં સુધારી લેવી એ જ નીતિ સાચી છે. નીતિ કાંઈ પોતાની ભૂલો જ્યાં ને ત્યાં જઈને ગાવા બેસવામાં નથી. જુવાનો એમ કરીને બીજી ભૂલ કરવા જેટલા બિનજવાદાર બની રહે છે.”

“પણ ભવિષ્યમાં કોઈક દિવસ પણ પરણેલી સ્ત્રીને પોતાના પતિની ભૂલની જાણ થાય તો ?”

“તો તે વખતે સત્ય કહી નાખવું. કોઈપણ પરણનાર સ્ત્રીને કે પુરુષને લગ્ન પૂર્વેના