પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાપુનું અવસાન
૮૫
 


આવી ઊભો રહ્યો. એના મોં-માથે હોશ નહોતા.

“કેમ ?”

“આપને તેડવા —” વધુ એ ન બોલી શક્યો.

“કોણે મોકલી છે ?”

“માલુજીમામાએ.”

“શા માટે ?”

“બાપુ —”

શિવરાજ ધા ખાઈ ગયો : “શું ?”

“દેવ થયા !”

“કોણ — શું — કેમ — હોય નહીં !”

“રાતમાં હૈયું બંધ પડી ગયું.”

કહેનાર ગાડીવાન-છોકરાની આંખમાં પાણી દેખાયાં.

શિવરાજ અરધાં કપડાં પહેરીને ને અરધાં હાથમાં લઈને જ ગાડીમાં બેઠો. સુજાનગઢ આવ્યો ત્યાં તો એણે બંગલાના ચોગાન પર ડાઘુઓની બેસુમાર મેદની નિહાળી. એક ઢોલિયો પણ તૈયાર થતો હતો. કેટલાક સ્મશાનયાત્રાના નિષ્ણાતો, — જેમણે જીવનભરમાં પોતાની બીજી કોઈ સામાજિક ઉપયોગિતા જાણી નથી હોતી તેઓ, — ગાંઠિયા, સુખડ, અબીલ, ગુલાલ વગેરે અંતકાળના ઉપયોગી સરંજામની ખરીદીની કાળજીભરી ભલામણ એકબીજાને કરી રહ્યા હતા. બે-ત્રણ જણા ગામ ભણી જવા દોડતા હતા. એક-બે જણા —

“આ જોશે.”… “ના ભૈ ના, ન જોવે.”… “અરે, પણ ગરાશિયાના મરણમાં જોવે.” વગેરે ધડાકૂટમાં પડ્યા હતા.

તે જોઈને શોકમગ્ન શિવરાજ પણ એક વિચારને ન દબાવી શક્યો કે મનુષ્ય, હરેક નાચીજમાં નાચીજ મનુષ્ય પણ, જ્યારે પોતાની જાતની થોડીએક ઉપયોગિતા પણ આ જગતમાં જુએ છે, ત્યારે એ કેટલો ધન્ય બને છે ! કેટલી સાર્થકતા માણે છે ! ને આટલી બધી ઈર્ષા, દ્વેષ, દેખાદેખી, વૈરવૃત્તિ — એ બધાં કદાચ એક-ની-એક નિરાશાનાં જ આવિષ્કરણો તો નહીં હોય ? પોતાનો આ જગતમાં ક્યાંયે સાર્વજનિક ખપ નથી, પોતે સમાજ સમસ્તને કાંઈ કામ આવે તેમ નથી, એવી નિરુપયોગિતાની લાગણી કેટલી ભયાનક હતાશાથી ભરેલી છે !

એક ક્ષણમાં જ એ વિચાર-તારો એના મન-ગગનમાંથી ખરી ગયો. એણે પોતાની નજર સામે સૌ પહેલું મૃત્યુ નિહાળ્યું. એ લોકમેદનીનાં મોં ચૂપ હતાં. દરવાજો મૂંગો હતો. અંદર જતાં બધું જ ખાલીખમ હતું. બુઢ્‌ઢો ચાઊસ ઊંધું માથું ઘાલીને ઝીણું રોતો હતો. તેણે શિવરાજને જોયો તે ઘડી જ એનો કંઠ ભેદાયો ને ચીસ પડી : “અલ્લા ! ઓ અલ્લા ! મહોબત તોડ દિયા !”

શિવરાજના મન પર સત્ય જાણે ગોદો મારતું હતું. ચકિતપણાની લાગણીનો કાળ પૂરો થયો. સંભ્રમના પણ પડદા ઊંચકાઈ ગયા. મોટા ખંડમાં પિતાજીનો શ્વેત વસ્ત્રે ઢાંક્યો પડછંદ દેહ સૂતો હતો. નીચે તાજી લીંપેલી ધરતી હતી. લીંપણની સુગંધ આવતી હતી. ઘીનો દીવો બાજુમાં જલતો હતો. “બાપુ જાણે રાતની આદત પ્રમાણે સૂતા સૂતા હજુ વાંચતા તો નહોતા ને !” એવી એક બેવકૂફ ભ્રાંતિ શિવરાજને અંતરે રમીને ચાલી ગઈ.