પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આ તો પુરાણ કથા. કોરીયાની સંસ્કૃતિનો પિતા તો ઈસ્વીસન પૂર્વે ૧૧રર મે વરસે ચીન દેશમાંથી કોરીઆમાં આવ્યો. ચીનના બાદશાહ ચાઉની જુલ્મ–જહાંગીરીએ આખા દેશને સળગાવી મુકેલો, તે વેળા એ વ્યભિચારી શહેનશાહના દરબારમાં ત્રણ ઋષિઓ પ્રધાનપદે હતા. શહેનશાહને અત્યાચારને માર્ગેથી ઉગારી લેવાનો આ ત્રણ ઋષિઓએ યત્ન કરેલો. બાદશાહે પોતાની એક રખાયતની શીખવણીને વશ થઈને ત્રણમાંથી બે વૃદ્ધોને ઠાર માર્યા. ત્રીજો વૃદ્ધ કી ત્સી તે કાળે કારાગારમાં પડેલો. જૂનો રાજા પદભ્રષ્ટ થયો. નવા રાજાએ એ બંદીવાન સચીવને છુટો કર્યો, અને અસલની પદવી ઉપર બેસવા આજ્ઞા કરી. પરંતુ એને પોતાના જૂનો સ્વામી સાંભર્યો. પોતાના ઉપર કાળો કેર ગુજાર્યા છતાં યે એ જૂના બાદશાહની પ્રત્યે પોતાનો ભક્તિભાવ હજુ અમર હતો, પોતાના એક કાળના માલીકની દુર્દશા એનાથી ન જોવાણી. એણે પ્રધાનપદ સ્વીકારવાની ના પાડી. પાંચ હજાર સૈનિકો લઈને વૃદ્ધ ચાલી નીકળ્યો. કોરીઆમાં આવીને એણે રાજ્ય સ્થાપ્યું. એ દેશનું નામ પાડ્યું “પ્રિય ભૂમિ” અગર “પ્રભાતનું શાંતિ–સ્થાન.”