પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બાદ ચાર ચાર બાલકોની મંડળી એકઠી મળીને કોરીયાની ભાષા શીખે છે, અને માતૃભૂમિનાં છિન્ન ભિન્ન સ્મરણોમાંથી ચાર હજાર વરસોનો જુનો ઇતિહાસ ઉકેલે છે. અમર રહેવા સરજાયેલું એમ સ્હેલાઈથી શી રીતે મરે ?

ચોથું પગલું — શિક્ષણને પલટી નાખવાથી તો માત્ર મગજ ડોળાય. પણ જાપાનનો અભિલાષ તો કોરીયાના આત્માનેજ જલદી કલુષિત કરી નાખવાના હતો. જાપાન ચારિત્ર કે પવિત્રતા સરખી ચીજને જરીયે ઓળખતું નથી. જૂના કાળમાં, પોતાનાં માવતરની ગરીબી ટાળવા જુવાન દીકરી પોતાનું શિયળ વેચે, એ તો જાપાનમાં મહાપવિત્ર કાર્ય ગણાતું. અત્યારે પણ જાપાની અમલદારો, પ્રધાનો, ને શિક્ષકો છચોક વેશ્યાઓને ઘેર જાય, વ્યભિચાર સેવે, રખાતો રાખે. એક શાળાના અધ્યાપકે તે ખુલ્લેખુલ્લું કહેલું કે મ્હારા શિક્ષકોને હું વેશ્યાગારોમાં જવા દઉં છું, વેશ્યાનાં બીલો મ્હારી પાસે પરબારાં આવે છે, તે હું શિક્ષકોના પગારમાંથી પરબારાંજ ચુકવું છું.

આમ જાપાને કોરીયામાં વેશ્યાઓનાં પૂર છોડી મૂક્યાં. દેશના પ્રત્યેક શહેરમાં પરવાનાવાળાં વેશ્યાગારો ખોલાયાં, શહેરના ઉત્તમ લત્તાઓમાં વેશ્યાઓને મકાનો અપાયાં, એટલે કુલીન પાડોશીઓ પોતાનાં ઘરબાર જાપાનીઓને નામની જ કિંમતે વેચી મારીને ચાલી નીકળ્યા. કોરીયાની કુમારિકાઓને જાપાની ગીધડાં ચૂંથવા લાગ્યાં. વેશ્યાઓની અક્કેક મંડળી લઇને જાપાની સોદાગરો ગામડે ગામડે ભટકવા લાગ્યા.

૪૬