પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આટલે સુધી પહોંચતાં મને બારમું વર્ષ વીતી ગયું. ત્‍યાં લગી મેં કોઇ પણ વેળા શિક્ષકોને છેતર્યાનું મને સ્‍મરણ નથી, નથી કોઇ મિત્રો કર્યાનું સ્‍મરણ. હું અતિશય શરમાળ છોકરો હતો. નિશાળમાં મારા કામ સાથે જ કામ હતું. ઘંટ વાગવાને સમયે પહોંચવું અને નિશાળ બંધ થયે ઘેર ભાગવું. ‘ભાગવું’ શબ્‍દ ઇરાદાપૂર્વક લખું છું કેમ કે મને કોઇની સાથે વાતો કરવાનું ન ગમતું. ‘કોઇ મારી મશ્‍કરી કરશે તો ?’ એવી બીક પણ રહેતી.

હાઇસ્‍કૂલના પહેલા જ વર્ષનો, પરીક્ષા વખતનો એક બનાવ નોંધવા યોગ્‍ય છે. કેળવણી ખાતાના ઇન્‍સ્‍પેકટર જાઇલ્‍સ નિશાળ તપાસવા આવ્‍યા હતા. તેમણે પહેલા ધોરણના છોકરાઓને પાંચ શબ્‍દ લખાવ્‍યા. તેમાં એક શબ્‍દ ‘કેટલ’ (kettle) હતો. તેની જોડણી મેં ખોટી લખી. માસ્‍તરે મને પોતાના બૂટની અણી મારી ચેતવ્‍યો. પણ હું શાનો ચેતું ? મને એમ ભાસી ન શક્યું કે માસ્‍તર મને સામેના છોકરાની પાટીમાં જોઇ લઈ જોડણી સુધારવાનું કહે. માસ્‍તર તો અમે એકબીજામાંથી ચોરી ન કરીએ એ જોતા હતા એવું મેં માનેલું. બધા છોકરાના પાંચે શબ્‍દ ખરા પડ્યા ને એકલો હું ઠોઠ ઠર્યો ! મારી ‘મૂર્ખાઈ’ મને માસ્‍તરે પાછળથી સમજાવી પણ મારા મન ઉપર તે સમજૂતીની કશી અસર ન થઈ. મને બીજા છોકરાઓમાંથી ચોરી કરતાં કદી ન આવડ્યું.

આમ છતાં માસ્‍તર તરફ હું મારો વિનય કદી ન ચૂકયો. વડીલોના દોષ ન જોવાનો ગુણ મારામાં સહેજે હતો. આ માસ્‍તરના બીજા દોષો પણ મારી જાણમાં પાછળથી આવેલા. છતાં તેમની પ્રત્‍યેનું મારું માન તો કાયમ જ રહેલું. વડીલોની આજ્ઞાનું પાલન કરવું એટલું હું સમજ્યો હતો. તેઓ કહે તે કરવું; કરે તેના આપણે કાજી ન બનવું.

આ જ સમયે બીજા બે બનાવો બન્‍યા તે મને હંમેશા યાદ રહ્યા છે. મને સામાન્‍ય રીતે નિશાળનાં પુસ્‍તકો ઉપરાંત કંઈ વાંચવાનો શોખ નહોતો. પાઠ કરવા જોઈએ, ઠપકો સહન ન થાય, માસ્‍તરને છેતરાય નહીં, તેથી પાઠ વાંચતો. પણ મન આળસ કરે. તેથી પાઠ ઘણી વાર કાચા રહે. ત્‍યાં બીજું વાંચવાનું સૂઝે શાનું ? પણ પિતાશ્રીએ ખરીદેલું એક પુસ્‍તક મારી નજરે ચડયું. એ ‘શ્રવણપિતૃભક્તિ નાટક’. આ વાંચવાનું મને મન થયું.