પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેમણે મારો ઇતિહાસ પૂછ્યો. મેં તે આપ્યો. પછી તે બોલ્યા:

'મારે તો તમારી સામે કાંઈ કહેવાનું નથી. મને ભય એ હતો કે રખેને તમે અહીં જન્મેલા કોઈ ધૂર્ત હો! વળી તમારી પાસે અસલ પ્રમાણપત્ર નથી. તેથી મારા શકને ટેકો મળ્યો. એવા પણ માણસ પડ્યા છે જે પારકાં પ્રમાણપત્રોનો ઉપયોગ અ કરે છે. તમે ગોરાઓનાં પ્રમાણપત્ર રજૂ કર્યાં છે તેની મારા ઉપર અસર નથી થઈ. તેઓ તમને શું જાણે? તમારી સાથે તેઓની ઓળખાણ કેટલી?'

'પણ અહીં તો મને બધા જ નવા છે. અબદુલ્લા શેઠે પણ મને તો અહીં જ ઓળખ્યો.' હું વચ્ચે બોલ્યો.

'હા; પણ તમે તો કહો છો કે એ તમારા ગામના છે. અને તમારા બાપ ત્યાંના દીવાન હતા તેથી તે તમારા કુટુંબને તો ઓળખે જ ના? તેમનું સોગનનામું તમે રજૂ કરો તો મારે તો કંઈ કહેવાપણું નહીં રહે. હું વકીલસભાને લખી મોકલીશ કે મારાથી તમારો વિરોધ નહીં કરી શકાય.'

મને ક્રોધ આવ્યો, તે મેં રોક્યો. મને થયું, 'જો મેં અબદુલ્લા શેઠનું જ પ્રમાણપત્ર રજૂ કર્યું હોત તો તેની અવગણના થાત ને ગોરાની ઓળખાણ માગત. વળી મારા જન્મની સાથે મારી વકીલાતની લાયકાતને શો સંબંધ હોય ? હું દુષ્ટ કે કંગાળ માબાપનો દીકરો હોઉં તો મારી લાયકાત તપાસવામાં તે મારી સામે શા સારુ વપરાય?' પણ આ બધા વિચારોને રોકી મેં જવાબ આપ્યો:

'જોકે આવી હકીકત માગવાને વકીલસભાને અધિકાર છે એમ હું કબૂલ નથી કરતો, છતાં તમે ઈચ્છો છો તેવું સોગંદનામું મેળવવા હું તૈયાર છું.'

અબદુલ્લા શેઠનું સોગનનામું ઘડ્યું ને તે વકીલને આપ્યું. તેણે સંતોષ જાહેર કર્યો. પણ વકીલસભાને સંતોષ ન થયો. તેણે તો મારા દાખલ થવા સામેનો વિરોધ અદાલત આગળ રજૂ કર્યો. અદાલતે મિ.એસ્કંબનો જવાબ પણ સાંભળ્યા વિના સભાનો વિરોધ રદ કર્યો. વડા ન્યાયાધીશે કહ્યું:

'અરજદારે અસલ પ્રમાણપત્ર રજૂ નથી કર્યું એ દલીલમાં વજૂદ