પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જે કુટુંબમાં હું દર રવિવારે જતો ત્યાંથી તો મને રજા જ મળી કહેવાય. ઘરધણી બાઈ ભોળાં, ભલાં, પણ સાંકડા મનવાળાં લાગ્યાં, તેમની સાથે દર વખતે કઈંક ને કઈંક ધર્મચર્ચા તો થાય જ. તે વેળા હું ઘેર 'લાઇટ ઑફ એશિયા' વાંચી રહ્યો હતો. અમે જિસસ અને બુદ્ધના જીવનની સરખામણીમાં પડ્યાં:

"જુઓને ગૌતમની દયા. તે મનુષ્યજાતને ઓળંગી બીજાં પ્રાણીઓ સુધી ગઈ. તેના ખભા ઉપર રમતા ઘેટાનો ચિતાર આંખો સામે આવતાં જ તમારું હ્રદય પ્રેમથી નથી ઊભરાતું? આ પ્રાણીમાત્ર પ્રત્યેનો પ્રેમ હું ઇશુના ઈતિહાસમાં નથી જોતો."

બહેનને દુઃખ લાગ્યું. હું સમજ્યો. મેં મારી વાત આગળ ન લંબાવી. અમે ખાવના ઓરડામાં ગયાં. તેમનો પાંચેક વર્ષનો હસમુખો બાળક પણ અમારી સાથે હતો. છોકરાં મને મળે એટલે બીજું શું જોઇએ? તેની સાથે મેં દોસ્તી તો કરી જ હતી. મેં તેની થાળીમાં પડેલા માંસના ટુકડાની મજાક કરી, ને મારી રકાબીમાં શોભી રહેલા સફરજનની સ્તુતિ શરૂ કરી. નિર્દોષ બાળક પલળ્યો, ને સફરજનની સ્તુતિમાં ભળ્યો.

પણ માતા? તે બિચારી દુભાઈ.

હું ચેત્યો. ચૂપ રહ્યો. વાતનો વિષય બદલ્યો.

બીજે અઠવાડિયે સાવધાન રહી. હું તેમને ત્યાં ગયો ખરો, પણ મારો પગ ભારે થયો હતો. મારે જ ત્યાં જવાનું બંધ કરવું એ મને ન સૂઝ્યું, ન ઉચિત લાગ્યું. ભલી બહેને જ મારી મુશ્કેલીનો નિકાલ કર્યો. તે બોલી, 'મિ. ગાંધી, તમે દુઃખ ન લગાડશો, પણ મારે તમને કહેવું જોઈએ કે તમારી સોબતની મારા બાળક ઉપર માઠી અસર થવા લાગી છે. હવે તે રોજ માંસ ખાવાની આનાકાની કરે છે ને પેલી તમારી ચર્ચા યાદ દેવડાવી ફળ માગે છે. મને આ ન પરવડે. મારો છોકરો માંસાહાર છોડે તો માંદો ન પડે તોયે નબળો તો થાય જ. એ મારાથી કેમ સહન થાય? તમે જે ચર્ચા કરો તે આપણી ઘડાયેલાંની વચ્ચે શોભે. બાળકો ઉપર તેની ખરાબ અસર થાય.'

'મિસિસ...., હું દિલગીર છું. તમારી માતા તરીકેની લાગણી હું સમજી શકું છું. મારે પણ છોકરાં છે. આ આપત્તિનો અંત સહેલાઈથી