પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જયારે હું ડરબનમાં વકીલાત કરતો ત્યારે ઘણી વાર મારા મહેતાઓ મારી સાથે રહેતા. તેમાં હિંદુ અને ખ્રિસ્તી હતા, અથવા પ્રાંતવાર કહીએ તો ગુજરાતી અને મદ્રાસી હતા. તેમને વિશે મારા મનમાં કદી ભેદભાવ ઊપજયાનું મને સ્મરણ નથી. તેમને હું કુટુંબીજન ગણતો ને જો પત્ની તરફથી તેમાં કંઇ વિઘ્ન આવે તો તેની જોડે લડતો. એક મહેતો ખ્રિસ્તી હતો. તેના માતાપિતા પંચમ જાતિનાં હતાં. ઘરની બાંધણી પશ્ચિમ ઘાટની હતી. તેમાં કોટડીઓમાં ખાળ હોતા નથી—હોવા પણ ન જોઇએ એમ હું માનું છું—તેથી દરેક કોટડીમાં મોરીને બદલે પેશાબને સારુ ખાસ વાસણ હોય છે. તે ઉપાડવાનું કામ નોકરનું નહોતું, પણ અમારું ધણિધણિયાણીનું હતું. મહેતાઓ જે પોતાને ઘરના જેવા માનતા થઇ જાય તે તો પોતાનું વાસણ પોતે ઉપાડે પણ ખરા. આ પંચમ કુળમાં જન્મેલ મહેતા નવા હતા. તેમનું વાસણ અમારે જ ઉપાડવું જોઇએ. બીજાં તો કસ્તૂરબાઈ ઉપાડતી, પણ આ તેને મન હદ આવી. અમારી વચ્ચે કલેશ થયો. હું ઉપાડું એ તેને ન પાલવે, તેને પોતાને ઉપાડવું ભારે થઇ પડયું. આંખમાંથી મોતીનાં બિદુ ટપકાવતી, હાથમાં વાસણ ઝાલતી, અને મને પોતાની લાલ આંખોથી ઠપકો આપતી, સીડીએથી ઊતરતી કસ્તૂરબાઈને હું આજે પણ ચીતરી શકું છું.

પણ હું તો જેવો પ્રેમાળ તેવો ઘાતકી પતિ હતો. મને પોતાને હું તેનો શિક્ષક પણ માનતો ને તેથી મારા અંધ પ્રેમને વશ થઈ સારી પેઠે પજવતો.

આમ તેના માત્ર વાસણ ઊંચકી જવાથી મને સંતોષ ન થયો. તે હસતે મુખે લઈ જાય તો જ મને સંતોષ થાય. એટલે મેં બે બોલ ઊચે સાદે કહ્યા. 'આ કંકાસ મારા ઘરમાં નહીં ચાલે,' હું બબડી ઊઠયો.

આ વચન તીરની જેમ ખૂંચ્યું.

પત્ની ધગી ઊઠી: 'ત્યારે તમારું ઘર તમારી પાસે રાખો, હું ચાલી.'

હું તો ઈશ્વરને ભૂલ્યો હતો. દયાનો છાંટો સરખો નહોતો રહ્યો. મેં હાથ ઝાલ્યો. સીડીની સામે જ બહાર નીકળવાનો દરવાજો હતો. હું આ રાંક અબળાને પકડીને દરવાજા લગી ખેંચી ગયો. દરવાજો અરધો ઉઘાડયો.

આંખમાંથી ગંગાજમના વહી રહ્યાં હતાં, અને કસ્તૂરબાઇ બોલી: