પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૫. મરકી—૧

લોકેશનનું ધણીપતું મ્યુનિસિપલિટીએ લઈ લીધું કે તુરત ત્યાંથી હિંદીઓને ખસેડ્યા નહોતા. તેમને બીજી અનુકૂળ જગ્યા આપવાની વાત તો હતી જ. તે જગ્યા મ્યુનિસિપલિટીએ નક્કી નહોતી કરી. તેથી હિંદીઓ તે જ 'ગંદા' લોકેશનમાં રહ્યાં. ફેરફાર બે થયા. હિંદીઓ ધણી મટી શહેર સુધરાઈખાતાના ભાડૂત બન્યા ને ગંદકી વધી. પહેલાતો હિંદીઓનું ધણીપતું ગણાતું ત્યારે તેઓ ઈચ્છાએ નહીં તો ડરને માર્યે પન કંઈક ને કંઈક સફાઈ રાકહ્તા. હવે 'સુધરાઈ' નો કોને ડર? મકાનોમાં ભાડૂતો વધ્યા ને તેને સાથે ગંદકે અને અવ્યવસ્થા વધી.

આમ ચાલી રહ્યું હતું. હિંદીઓનાં મન ઊંચા હતા, તેવામાં એકાએક કાળી મરકી ફાટી નીકળી. આ મરકી જીવલેણ હતી. આ ફેંફસાની મરકી હતી. તે ગાંઠિયાની મરકી કરતાં વધારે ભયંકર ગણાતી હતી.

સદ્‌ભાગ્યે મરકીનું કારણ લોકેશન નહોતું. તેનું કારણ જોહાનિસબર્ગની આસપાસ આવેલી એઅનેક સોનાની ખાણોમાંની એક ખાણ હતી. ત્યાં મુખ્યત્વે હબસીઓ કામ કરનારા હતા. તેમની સ્વચ્છતાની જવાબદારી તો કેવળ ગોરા માલિકોને શિર હતી. આ ખાણ અંગે કેટલાક હિંદીઓ પણ કામ કરનારા હતા. તેઓમાંના ત્રેવીસને એકાએક ચેપ લાગ્યો. ને તેઓ એક સાંજે ભયંકર મરકીના ભોગ થઈને લોકેશનમાં પોતાને રહેઠણે આવ્યા.

આ વેલા ભાઈ મદનજિત 'ઈંડિયન ઓપીનિયન'ના ઘરાક બનાવવા ને લવાજમનું ઉઘરાણું કરવા આવ્યા હતા. તે લોકેશનમાં ફરતા હતા. તેમનામાં નિર્ભયતાનો ગુણ સરસ હતો. આ દરદીઓ તેમના જોવામાં અવ્યા ને તેમનું હ્રદય બળ્યું. તેમણે મને સીસાપેને લખી એક કાપલી મોકલી. તેનો ભાવાર્થ આવો હતો: 'અહીં એકદમ કાળી મરકી ફાટે નીકળી છે. તમારે તુરત આવીને કંઈક કરવું જોઈએ, નહીં તો પરિણમ ભયંકર આવશે. તુરત આવજો.'

મદનજિતે ખાલી મકાન પડ્યું હતું તેનું તાળું નીડરપણે તોડી તેનો કબ્જો લઈ તેમાં આ માંદાઓને રાખ્યા હતા. હું મારી સાઈકલ ઉપર લોકેશન પહોંચ્યો. ત્યાંથી ટાઉનક્લાર્કને હકીકત મોકલી, ને કેવા સંજોગોમાં