પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મને પૂરું સ્મરણ છે.

આત્મિક કેળવણી કેમ અપાય ? બાળકોને ભજન ગવડાવતો, નીતિનાં પુસ્તકો વાંચી સંભળાવતો, પણ તેથી સંતોષ નહોતો પામતો. જેમ જેમ તેમના પ્રસંગમાં આવતો ગયો તેમ તેમ મેં જોયું કે આ જ્ઞાન પુસ્તકો વડે તો નહીં જ અપાય. શરીરની કેળવણી શરીરની કસરતથી અપાય, બુદ્ધિની બુદ્ધિની કસરતથી, તેમ આત્માની આત્માની કસરતથી. આત્માની કસરત શિક્ષકના વર્તનથી જ પામી શકાય. એટલે યુવકોની હાજરી હો યા ન હો, તેમ છતાં શિક્ષકે સાવધાન રહેવું જોઈએ. લંકામાં બેઠેલો શિક્ષક પોતાના વર્તનથી પોતાના શિષ્યોના આત્માને હલાવી શકે છે. હું જૂઠું બોલું ને મારા શિષ્યોને સાચા બનાવવાનો પ્રયત્ન કરું તે ફોગટ જાય. ડરપોક શિક્ષક શિષ્યોને વીરતા નહીં શીખવી શકે. વ્યભિચારી શિક્ષક શિષ્યોને સંયમ કેમ શીખવે ? મેં જોયું કે મારે મારી પાસે રહેલા યુવકો અને યુવતીઓની સમક્ષ પદાર્થપાઠરૂપે થઈને રહેવું રહ્યું. આથી મારા શિશઃયો મારા શિક્ષક બન્યા. મારે અર્થે નહીં તો તેમને અર્થે મારે સારા થવું ને રહેવું જોઈએ એમ હું સમજ્યો, ને ટૉલ્સ્ટૉય આશ્રમનો મારો ઘણોખરો સંયમ આ યુવકો અને યુવતીઓને આભારી છે એમ કહેવાય.

આશ્રમમાં એક યુવક બહુ તોફાન કરે, જૂઠું બોલે, કોઈને ગણકારે નહીં, બીજાઓની સાથે લડે. એક દહાડો તેણે બહુ જ તોફાન કર્યું. હું ગભરાયો. વિદ્યાર્થીઓને કદી દંડ ન દેતો. આ વખતે મને બહુ ક્રોધ ચડ્યો. હું તેની પાસે ગયો. તેને સમજાવતાં તે કેમે સમજે નહીં. મને છેતરવાનો પણ તેણે પ્રયત્ન કર્યો. મેં મારી પાસે પડેલી આંકણી ઉપાડી ને તેની બાંય ઉપર દીધી. દેતાં હું ધ્રુજી રહ્યો હતો. આ તે જોઈ ગયો હશે. આવો અનુભવ કોઈ વિદ્યાર્થીને મારી તરફથી પૂર્વે કદી નહોતો થયો. વિદ્યાર્થી રડી પડ્યો. મારી પાસે માફી માગી. તેને લાકડી વાગી ને દુઃખ થયું તેથી તે નહોતો રડ્યો. તે સામે થવા ધારે તો મને પહોંચી વળે એટલી શક્તિ ધરાવતો હતો. તેની ઉંમર સત્તર વર્ષની હશે. બાંધે મજબૂત હતો. પણ મારી આંકણીમાં તે મારું દુઃખ જોઈ ગયો. આ બનાવ પછી તે કદી મારી સામે નહોતો થયો. પણ મને તે આંકણી મારવાનો પશ્ચાત્તાપ આજ લગી રહ્યો છે. મને ભય છે કે મેં તેને મારીને મારા