પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મેં કહ્યું, 'આ તકરાર આપણી વચ્ચે થાય તેના કરતાં આ દૂરબીનને દરિયામાં જ ફેંકી દઈએ ને તેની વાત જ ન કરીએ તો કેવું સારું?'

મિ. કૅલનબૅકે તુરત જવાબ આપ્યો, જરૂર તે ભમરાળી ચીજ ફેંકી દો.'

મેં કહ્યું, 'હું ફેંકું છું.'

તેમણે એટલી જ ત્વરાથી જવાબ દીધો, 'હું સાચેસાચ કહું છું જરૂર ફેંકી દો.'

મેં દૂરબીન ફેંકી દીધું. એ સાતેક પાઉન્ડની કિંમતનું હતું, પણ તેની કિઁમત તેના દામમાં હતી તેના કરતાં મિ. કૅલનબૅકના તેની ઉપરના મોહમાં હતી. છતાં મિ. કૅલનબૅકે તેને વિશે કદી દુ:ખ નથી માન્યું. તેમની ને મારી વચ્ચે આવા અનુભવ ઘણા થતા, તેમાંથી મેં આ એક વાનગીરૂપે આપેલ છે.

અમારી વચ્ચેના સંબંધમાંથી અમને રોજ નવું શીખવાનું મળતું, કેમ કે બંને સત્યને અનુસરીને જ ચાલવાનો પ્રયત્ન કરતા હતા. સત્યને અનુસરતાં ક્રોધ્, સ્વાર્થ, દ્વેષ ઇત્યાદિ સહેજે શમતાં હતાં; ન શમે તો સત્ય મળતું નહોતું. રાગદ્વેષાદિથી ભરપૂર માનવી સરળ ભલે હોઈ શકે, વાચાનું સત્ય ભલે પાળે, પણ તેને શુદ્ધ સત્ય ન જ મળે. શુદ્ધ સત્યની શોધ કરવી એટલે રાગદ્વેષાદિ દ્વંદ્વથી સર્વથા મુક્તિ મેળવવી.

અમે મુસાફરી શરૂ કરી ત્યારે મને ઉપવાસ પૂરા કર્યાને બહુ સમય નહોતો થયો. મને પૂરી શક્તિ નહોતી આવી ગઈ. આગબોટમાં હું રોજ ડેક ઉપર ચાલવાની કસરત કરી ઠીક ખાવાનો ને ખાધેલું પચાવવાનો પ્રયત્ન કરતો. પણ તેમ તેમ મને પગના પિંડમાં વધારે દુખાવો થવા લાગ્યો. વિલાયત પહોંચ્યા પછી મારો દુખાવો ઓછો ન થયો પણ વધ્યો. વિલાયતમાં દાક્તર જીવરાજ મહેતાની ઓળખ થઈ હતી. તેમને ઉપવાસનો અને દુખાવાનો ઇતિહાસ આપતાં તેમણે કહ્યું, 'જો તમે થોડા દહાડા તદ્દન આરામ નહીં લો તો પગ સદાયના ખોટા થઈ જવાનો ભય છે.' આ વખતે જ મને ખબર પડી કે લાંબા ઉપવાસ કરનારે ગયેલી તાકાત ઝટ મેળવવાનો કે બહુ ખાવાનો લોભ ન જ રાખવો ઘટે. ઉપવાસ કરવા કરતાં તે ઉતારવામાં વધારે સાવધાન રહેવું પડે છે, ને કદાચ તેમાં