પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જવા કહ્યું . પત્નીને લઈને હું ત્રીજા વર્ગની ટિકિટે 'ઇન્ટર'માં પેઠો. ગાર્ડે મને તેમાં જતાં જોયેલો.

આસનસોલ સ્ટેશને ગાર્ડ વધારાના પૈસા લેવા આવ્યો. મેં કહ્યું, 'તમારો મને જગ્યા બતાવવાનો ધર્મ હતો. જગ્યા ન મળી એટલે હું આમાં બેઠો છું. મને તમે ત્રીજા વર્ગમાં જગ્યા આપો તો હું તેમાં જવાને તૈયાર છું.'

ગાર્ડ સાહેબ બોલ્યા, 'મારી સાથે દલીલ ન થાય. મારી પાસે જગ્યા નથી. પૈસા ન આપવા હોય તો તમારે ટ્રેનમાંથી નીકળવું પડશે.'

મારે તો કેમેય પૂના પહોંચવું હતું. ગાર્ડ જોડે લડવાની મારી હિંમત નહોતી. મેં પૈસા ચૂકવ્યા. છેક પૂના સુધીનું વધારાનું ભાડું લીધું. મને આ અન્યાય ખૂંચ્યો.

સવારે મુગલસરાઈ આવ્યું. મગનલાલે ત્રીજા વર્ગમાં જગ્યા મેળવી લીધી હતી. મુગલસરાઈમાં હું ત્રીજા વર્ગમાં ગયો. ટિકિટ કલેક્ટરને મેં હકીકતથી વાકેફ કર્યા. તેની પાસેથી મેં અમારી વાતનું પ્રમાણપત્ર માગ્યું. તેણે આપવાની ના પાડી. મેં વધારાના ભાડાના પૈસા પાછા મળવાની રેલવેના વડાને અરજી કરી.

'પ્રમાણપત્ર વિના વધારાના પૈસા પાછા આપવાનો અમારો રિવાજ નથી, પણ તમારા કેસમાં અમે આપીએ છીએ. બર્દવાનથી મોગલસરાઈ સુધીનો વધારો તો પાછો ન અપાય.' આવી મતલબનો જવાબ મળ્યો.

આ પછીના મારા ત્રીજા વર્ગની મુસાફરીના અનુભવો એટલા છે કે તેમનું પુસ્તક બને. પણા આવા કેટલાક પ્રસંગોપાત્ત આપવા ઉપરાંત આ પ્રકરણોમાં તેમનો સમાસ થાય એમ નથી. શરીરપ્રકૃતિવશાત્ ત્રીજા વર્ગની મારી મુસાફરી બંધ થઈ એ મને હંમેશા ખટક્યું છે ને ખટક્યા કરશે. ત્રીજા વર્ગની મુસાફરીમાં જોહુકમી અમલની વિટંબણા તો છે જ. પણ ત્રીજા વર્ગમાં બેસનારા કેટલાક મુસાફરોની ઉદ્ધતાઈ, તેમની ગંદકી, તેમની સ્વાર્થબુદ્ધિ, તેમનું અજ્ઞાન ઓછાં નથી હોતાં. ખેદ તો એ છે કે, ઘણી વેળા મુસાફરો જાણતા નથી કે તેઓ ઉદ્ધતાઈથી વર્તે છે, અથવા ગંદકી પોષે છે, અથવા સ્વાર્થ જ શોધે છે. જે કરે છે તે તેમને સ્વાભાવિક લાગે છે. આપણે સુધરેલાએ તેની દરકાર નથી કરી.

કલ્યાણ જંક્શન થાક્યાપાક્યા પહોંચ્યા. નાહવાની તૈયારી કરી.