પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને જો ગૂમડાં હોયતો તેમને ધોઈ તેમની ઉપર મલમ લગાડી દેવો. ખાવાની દવા કે મલમ સાથે લઈ જવાને ભાગ્યે જ આપવામાં આવતાં. ક્યાંય જોખમકારક કે ન સમયાય એવું દર્દ હોય તો તે દાક્તર દેવને દેખાડવા ઉપર મુલતવી રહેતું. દાક્તર દેવ જુદે જુદે ઠેકાણે નીમેલે વખતે જઈ આવતા. આવી સાદી સગવડનો લાભ લોકો ઠીક પ્રમાણમાં લઈ જતા હતા. વ્યાપક રોગો થોડા જ છે અને તેમને સારુ મોટા વિશારદોની જરૂર નથી હોતી એ ધ્યાનમાં રખાય, તો ઉપર પ્રમાણે કરેલી યોજન કોઈને હાસ્યજનક નહીં લાગે, લોકોને તો ન જ લાગી.

સુધરાઈનું કામ કઠિન હતું. લોકો ગંદકી દૂર કરવા તૈયાર નહોતા. પોતાને હાથે મેલાં સફ કરવાની તૈયારી જેઓ ખેતરની મજૂરી રોજ કરતા તેમની પણ નહોતી. દાક્તર દેવ ઝટ હારે તેવા નહોતા. તેમણે પોતે જાતે અને સ્વયંસેવકોએ એક ગામના રસ્તા સાફ કર્યા, લોકોનં અંગણાંમાંથી કચરા કાઢ્યા, કૂવાની આસપાસના ખાડા પૂર્યા, કાદવ કાઢ્યો, ને ગામલોકોને સ્વયંસેવકો આપવાનું પ્રેમપૂર્વક સમજાવતા રહ્યા. કેટલેક ઠેકાણે લોકોએ શરમને માર્યે કામ કરવાનું શરૂ કર્યું, ને કેટલેક ઠેકાણે તો લોકોએ મારી મોટર પસર થવાને સારુ સડકો પણ જાત મહેનતથી કરી. આવા મીઠ અનુભવની સાથે જ લોકોની બેદરકારીના કડવા અનુભવો પણ ભળતા હતા. સુધારાની વાર સાંભળી કેટલીક જગ્યાએ લોકોને અણગમો પણ પેદા થયેલો મને યાદ છે.

આ અનુભવો દરમ્યાન , એક અનુભવ જેનું વર્ણન મેં સ્ત્રીઓની ઘણી સભાઓમાં કર્યું છે, તે અહીં કરવું અસ્થાને નથી. ભીતિહરવા એક નાનકડું ગામ છે. તેની પાસે તેનાથી પણ નાનકડું ગામ છે. ત્યાં કેટલીક બહેનોના કપડાં બહુ મેલાં જોવામાં આવ્યાં. આ બહેનોને કપડાં ધોવા બદલવાનું સમજાવવાનું મેં કસ્તૂરબાઈને સૂચવ્યું. તેણે બહેનોને વાત કરી એમાંથી એક બહેને તેને પોતાની ઝૂંપડીમાં લઈ ગઈ ને બોલી : 'તમે જુઓ, અહીં કંઈ પેટીકબાટ નથી કે જેમાં કપડાં હોય , મારી પાસે મેં આ પહેરી છે તે જ સાડી છે. તેને હું કઈ રીતે ધોઈ શકું? મહાત્મા જીને કહો કે તે કપડાં અપાવે એટલે હું રોજ નાહવા ને રોજ કપડાં બદલવા તૈયાર થઈશ.' આવા ઝૂંપડાં હિંદુસ્તાનમાં અપવાદ રૂપે