પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ને પોતાના રાઈ જેવડા લાગતા દોષોને પહાડ જેવડા જોતાં શીખીએ, ત્યારે જ આપણને પોતાના ને પારકા દોષોનું ઠીક પ્રમાણ મળી રહે. મેં એમ પણ માન્યું છે કે, આ સામાન્ય નિયમનું પાલન સત્યાગ્રહી થવા ઈચ્છનારે તો ઘણી વધારે સૂક્ષ્મતાથી કરવું જોઈએ.

તે પહાડ જેવી લાગતી ભૂલ શી હતી તે જોઈએ. કાયદાનો સવિનય ભંગ તે જ માણસોથી થઈ શકે જેમણે કાયદાને વિનયપૂર્વક સ્વેચ્છાએ માન આપ્યું હોય. ઘણે ભાગે આપણે કાયદાના ભંગને સારુ થતી સજાના ડરને લીધે તેનું પાલન કરીએ છીએ. વળી આ વાત, જેમાં નીતિઅનીતિનો પ્રશ્ન નથી હોતો તેવા કાયદાને વિશેષે લાગુ પડે છે. કાયદો હો કે ન હો, પણ સારા ગણાતા માણસ એકાએક ચોરી નહીં કરે; છતાં રાત પડ્યે બાઈસિકલ ઉપર બત્તી સળગાવવાના નિયમમાંથી છટકી જતાં સારા માણસને પણ ક્ષોભ નહીં થાય. અને આવા નિયમ પાળવાની સલાહ માત્ર કોઈ આપે તો તેનું પાલન કરવા સારા માણસ પણ ઝટ તૈયાર નહીં થાય. પણ જ્યારે તેને કાયદામાં સ્થાન મળે છે, ને તેના ભંગને સારુ દંડ થવાનો ભય લાગે છે, ત્યારે દંડ આપવાની અગવડમાંથી બચવાને સારુયે તેઓ રાત પડ્યે બાઈસિકલ ઉપર બત્તી સળગાવશે. નિયમના આવા પાલનને સ્વેચ્છાએ કરેલું પાલન ન ગણી શકાય.

પણ સત્યાગ્રહી તો સમાજના જે કાયદાને માન આપશે તે માન સમજપૂર્વક, સ્વેચ્છાએ, માન આપવાનો ધર્મ જાણી આપશે. આમ જેણે સમાજના નિયમોનું ઈરાદાપૂર્વક પાલન કર્યુ છે, તેને જ સમાજના નિયનોની નીતિઅનીતિનો ભેદ કરવાની શક્તિ આવે છે, ને તેને મર્યાદિત સંજોગોમાં અમુક નિયમોનો ભંગ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. આવો અધિકાર લોકોએ પ્રાપ્ત કર્યા પહેલાં તેમને મેં સવિનય ભંગ કરવા નોતર્યા, એ મારી ભૂલ મને પહાડ જેવડી લાગી. અને ખેડા જિલ્લામાં પ્રવેશ કરતાં મને ખેડાની લડતનું સ્મરણ થયું ને મને લાગી આવ્યું : હું ભીંત ભૂલ્યો. મને લાગ્યું કે, લોકો સવિનય ભંગ કરવાને લાયક બને તે પહેલાં તેના ઊંડા રહસ્ય વિષે તેમને જ્ઞાન થવું જોઈએ. જેમણે કાયદાઓને રોજ મનથી તોડ્યા હોય, જેઓ છૂપી રીતે ઘણીયે વાર કાયદાનો ભંગ કરતા હોય, તેઓ એકાએક સવિનય ભંગને કેમ ઓળખી શકે ? તેની મર્યાદા કેમ જાળવી શકે ?