પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'તમે જાણો છો કે, બંગાળના ભાગલા વખતે સ્વદેશી ચળવળે ખૂબ જોર પકડ્યું હતું તેનો અમે મિલોએ ખૂબ લાભ ઉઠાવ્યો, ને કાપડનાં દામ વધાર્યા ? કેટલુંક ન કરવાનું પણ કર્યું ?'

'મેં એ વાત સાંભળી છે, ને સાંભળીને દિલગીર થયો છું.'

'તમારી દિલગીરી હું સમજું છું. પણ તેને સારુ કારણ નથી. અમે કંઈ પરોપકાર કરવાને સારુ અમારો વેપાર નથી કરતા. અમારે તો રળવું છે. અમારે શૅરહોલ્ડરોને જવાબ દેવો છે. વસ્તુની કિંમત તેની માગણી ઉપર આધાર રાખે છે એ નિયમની સામે કોણ થઈ શકે ? બંગાળીઓએ જાણવું જ જોઈતું હતું કે, તેમની ચળવળથી સ્વદેશી કાપડનું દામ વધશે જ.'

'એ બિચારા માર જેવા વિશ્વાસુ એટલે તેમણે માની લીધું કે, મિલમાલિકો છેક સ્વાર્થી નહીં બને, દગો તો નહીં જ દે, સ્વદેશીને નામે પરદેશી કાપડ તો નહીં જ વેચે.'

'આમ તમે માનો છો એમ હું જાણતો હતો, તેથી જ મેં તમને ચેતવવા ધાર્યું ને અહીં આવવાની તસ્દી આપી, કે જેથી તમે પણ ભોળા બંગાળીની જેમ ભૂલમાં ન રહો.' આમ કહી શેઠે પોતાના વાણોતરને નમૂના લાવવાનો ઇશારો કર્યો. ચૂંથામાંથી બનેલી કામળના એ નમૂના હતા. તે લઈ તેમણે કહ્યું: 'જુઓ, આ માલ અમે નવો બનાવ્યો છે, તેની સારી ખપત છે. ચૂંથામાંથી બનાવ્યો છે એટલે સોંઘો તો પડે જ. આ માલ અમે છેક ઉત્તર લગી પહોંચાડીએ છીએ. અમારા એજંટો ચોમેર પથરાયેલા છે. એટલે તમે જુઓ છો કે, અમને તમારા જેવા એજંટની જરૂર નથી રહેતી. ખરું તો એ છે કે, જ્યાં તમારા જેવાનો અવાજ સરખોયે ન પહોંચે ત્યાં અમારો માલ પહોંચે છે. વળી તમારે એમ પણ જાણવું જોઈએ કે, હિંદુસ્તાનને જોઈએ એટલો માલ અમે ઉત્પન્ન કરતા પણ નથી. તેથી સ્વદેશીનો સવાલ તે મુખ્યત્વે ઉત્પન્નનો છે. જ્યારે અમે જોઈતા પ્રમાણમાં કાપડ પેદા કરી શકીશું ત્યારે, ને જાતમાં સુધારો કરી શકીશું ત્યારે, પરદેશી કાપડ આવતું તેની મેળે બંધ થઈ જશે. તેથી મારી સલાહ તો તમને એ છે કે, તમે જે રીતે ચલાવો છો તે રીતે તમારી સ્વદેશી ચળવળ ન ચલાવો, ને નવી મિલો કાઢવા તરફ ધ્યાન આપો. આપણે ત્યાં સ્વદેશી માલ ખપાવવાની