પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
મ. ન. દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

ઘર જ્યાં ઘડી પણ કંકાસ વિના ગુજરતી નથી, ત્યાં આનંદમાં ગયો. ઈશ્વરેચ્છાએ હવે જેમ નીપજે તેમ ખરું.

પ્રકૃતિ જરા ઠીક છે. દવા સંબંધે બેવાર અમદાવાદ જઈ આવ્યો; એકવાર ચાણોદ જઈ આવ્યો; ને નગર તરફ જવાનો વિચાર ચાલે છે. ચાંણોદવાળાની લગભગ ૧ માસ થયાં ચાલી છે, તેથી જરા ઠીક છે. પણ તદન મટતું નથી.

નોકરીની તો રજા હજુ અર્ધપગારે ચાલે છે. કચ્છ તરફ નવો બંદોબસ્ત થવાનો તેની આશા દૃઢ રીતે થઈ છે, પણ કાંઈ નિશ્ચય જણાયો નથી. રા. રા. મુ. મનઃસુખરામભાઈ તથા રા. નાનાસાહેબ એ સંબંધે પ્રયત્નપરાયણ જ છે. યુનિવર્સિટીમાં પરીક્ષક થવા અરજી કરી હતી. પણ તે મોડી પહોચવાથી, કે ગમે તે કારણથી આ વર્ષ મારી નિમણોક થઈ શકી નહિ.

લખવાવાંચવાનો ક્રમ સારો ચાલે છે એથી મને બહુ આનંદ છે. સંબંધી મિત્રો વગેરે અહોનિશ પાસે ક્યાંથી હોય, એટલે પુસ્તક એ જ મારાં ખરાં સુખસ્થાન છે. આગસ્ટની ત્રીજીચોથી તારીખથી એક પુસ્તક લખવા માંડયું હતું તે સપ્ટંબરની ૭મીએ પૂરું કર્યું. હાલ છપાય છે. 'સુધારા'ની સામે કાંઈ લેખ રચવો એ કલ્પના થયેલી મેં આગળ કહી છે, તે જ સંકલ્પે એવું રૂપ લીધું કે બે પુસ્તક રચવાં; એક આર્યધર્મના આચારભાગનો ખુલાસો થઈ જાય ને બીજું આર્યધર્મના વિચારભાગનો ખુલાસો થાય તેવું. 'મેસ્મરીઝમ'ને ઉદ્દેશીને પ્રથમ પુસ્તક 'પ્રાણવિનિમય' નામે લખી, છપાવા માંડ્યું છે. વિચારભાગ વિષે બધી દુનીયાંના ધર્મનું અવલોકન કરી પછી તે સર્વને સરખાવી, આર્યધર્મ વિષે ખુલાસો કરવો ને અદ્વૈત સિદ્ધાંત બતાવવો એ ઉદ્દેશ રાખ્યો છે, ને 'સિદ્ધાંતસાર' નામે ગ્રંથ રચવાનો સંકલ્પ છે. આ સંબંધે કેટલુંક વાચન હાલ ચાલે છે; પણ પ-૭ દિવસમાં હવે એ ગ્રંથ લખવાનો આરંભ કરીશ.