પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨ મ. ન. દ્વિનું આત્મવૃત્તાન્ત

મળે તેટલું કામ આવે છે. નોકરી પરની આવક તે તો તા. ૧૧ ડીસંબરથી બંધ છે. રજા વિષે જે નીકાલ આવે તે ઉપર આધાર રાખે છે.

લખવાવાંચવા સંબંધે મુંબઈમાં આવ્યા પછી બહુ સારો ક્રમ ચાલ્યો છે. ઘણાં પુસ્તકો વગેરેની અપેક્ષા હતી તે પણ મળી આવ્યાં છે. પ્રાણવિનિમય બહાર પડી ચુક્યું છે, તે લોકોમાં બહુ શ્રદ્ધા પેદા કરે છે. સિદ્ધાંતસાર છપાવા માંડ્યો છે, તે લખાય પણ છે. હાલમાં પ્રકરણ ૪થું છપાય છે ને ૬ઠ્ઠું લખાય છે. આ કામ ચાલતું હતું તેની વચમાં જ અદ્વૈતવેદાંતને અંગરેજી સાયંસને મુકાબલે નાંખી ગ્રંથ રચવાનો વિચાર સ્ફુર્યો. રાજયોગ ફરી છપાવવાની ઇચ્છા હતી. પણ તેમાં બહુ ફેરફારોની અપેક્ષા જણાઈ હતી; તેથી તેને છપાવવો પડતો મુકી આ નવું પુસ્તક બનાવવાનો સંકલ્પ દ્ર્ધ થયો. આશરે પંદરેક દિવસની અંદર લગભગ ૧૦૦ અર્ધા શીટનું એ પુસ્તક લખી નાખ્યું છે. તેનું નામ Monism or Advaitism? એવું છે, ને હાલમાં છપાય છે. આ બે પુસ્તક ઉપરાંત પ્રિયંવદા માટે, ગીતા, ગુલાબસિંહ, સદ્દવૃત્તિ, રિવ્યુ. વગેરે તથા કોઈ આર્ટીકલો પણ એ લખવાનું તો ચાલુ જ છે. આ બધો પ્રયત્ન લોકોને બહુ રુચિકર થઈ પડ્યો છે, ને સર્વ તરફથી બહુ પ્રશંસાભરેલા તથા ધર્મ સ્થાપનાર તરીકે જ મને માનનારના પૂજ્યભાવથી ભરેલાં પત્રો મળ્યાં કરે છે. મેં આ બધો શ્રમ આર્ય ધર્મની ઉન્નતિ માટે ઉઠાવેલો છે, તેને સફલ થવાનાં આવાં ચિન્હ જોઈ મને સંતોષ થાય છે. પ્રાણવિનિયમ થયો, સિદ્ધાંતસાર થાય છે ને પછી ગીતા પુરી કરી નાંખીશ, ને પછી એક નાનું પુસ્તક ધર્માચારના નિયમો કેવા પાળવા તે જણાવવા એ ત્રણેને આધારે તથા આપણાં તંત્રમંત્રાદિ શાસ્ત્રના આધારે, હાલની સાયંસ સાથે સરખાવીને ટૂંકામાં લખીશ. ગુજરાતી વર્ગને આવી રીતે પ્રેરીશ, પણ આખા હિન્દુસ્તાનને તથા યુરોપ અમેરિકાને પણ મારા વિચાર દર્શાવવા સમર્થ થઈશ – Monism or Advaitism એ ગ્રંથ દ્વારા, આ બધું થયા પછી ગુજરાતમાં ધર્મવ્યવસ્થા માટે મંડલીઓ સ્થાપવા મથીશ ને તે પછી – એટલે આજથી લગભગ ૫-૧૦ વર્ષે - નોકરી ચાકરી મૂકી દઈ, એક આશ્રમ સ્થાપવાની વ્યવસ્થાને માટે દ્રવ્ય ભેગું કરવા મથીશ. તે આશ્રમમાં એક લાઈબ્રેરી તમામ પ્રકારનાં પુસ્તકની રાખવી, તેમાં જેને રહેવું હોય તે નિરંતર રહે પણ શરત એટલી કે દાખલ થતી વેળે કાંઈ દ્રવ્ય આપે, સંસારમાં ફરી જાય નહિ, ને આત્મોન્નતિ સાધતાં, ધર્માદિ સંબંધે ગ્રંથો રચવા પણ બંધાય. એ લોક તે કહેલી ધર્મસભાના પ્રથમ વર્ગમાં ગણાય. એથી બીજા જે બેત્રણ માસ આશ્રમમાં રહે ને બીજો