પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫. સંન્યાસનો વિચાર

તા. ૬-૧૨-૮૯

આજે દિલ બહુ ભરાઈ ગયું છે. કોને કહું ? મનની મુઝવણ મનમાં જ શમાવ્યા વિના રસ્તો નથી. જ્ઞાનર્દષ્ટિથી વિચાર કરું છું ત્યારે મને બધું કેવલ નાટક જેવું લાગે છે. કાંઈ ક્લેષ થતો નથી; પણ તે જ વખતે નિંદાના સંબંધનું દુઃખ, પરિતાપ ઈત્યાદિ નજરે પડી જીવને માયામાં પાડી દે છે, ને જે થયું છે તે માટે અતિ ક્લેષ પેદા કરાવે છે. સંન્યાસી થઈને ચાલી જાઉં તો ક્લેષ ટળે, ને મને જે જ્ઞાનથી સમ્યગ્ ર્દષ્ટિ થાય છે તે સ્થિર થાય; પણ તેમાંએ મન એકદમ વળતું નથી: પુત્ર કેવલ નાના છે, માતા બેઠી છે, ભાઈ પણ કેવલ ઋજુબુદ્ધિ છે. તેમનો નીસાસો નડે એમાં મારું શું કલ્યાણ ? વળી જે કુટિલ વેશ્યા મારી સ્ત્રીના નામે ગણાય છે તે પણ એમ થવાથી તો મારાં મા તથા ભાઈને નડવા તૈયાર જ થાય – ત્યારે વીલ કરૂં ? – હા, તેમ કરીશ – તેમ જ, તેમ જ, પણ તે વીલ પ્રમાણે અમલ કરનાર કોઈ ઠર્યા પછી તથા બધાં બાલક જરા હોશમાં આવ્યા પછી જ.

આટલો બધો ખેદ શા માટે ? નોકરીમાં વિઘ્ન પડ્યું છે, પિતા જે નિરંતર ભાર વહી મને કાંઈ જણાવા ન દેતા તે સ્વર્ગે ગયા છે. ઘરમાંથી બે હજારનું નકસાન થયું છે – પત્તો મળ્યા છતાં હાથ લેવાયું નથી ! આશા છે એ વડી વસ્તુ છે, પેલી રંડી પાસે બધું છે એમ નિશ્ચય થયો છે – તો તેને પકડવી, પકડીને સમજાવી કરી માજીસ્ત્રેટ આગળ ખડી કરી કેસ ચલવવો, કે કાંઈ માલ હાથ આવે, આજ પકડાય – કાલ પકડાય – કેમ પકડાય – શી યુક્તિ - ઈત્યાદિ તર્કવિતર્કમાં ને પૂર્વાપર હસ્તે પરહસ્તે પ્રયત્નોમાં વાત તે રંડાએ જાણી. એમ થવાથી તેના બાપ પાસે સુણાવ નાસી ગઈ. હવે કેમ કરવું? પ્રસંગ એવો આવ્યો કે નાતનો કોઈ માણસ આશાપુરી બાધા મુકવા ગયો તેણે એમને નોતર્યાં..એ વાત તેણે અમને જણાવી તેથી તેની સલાહ કરી

૧૨૮