પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
મ. ન. દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

હતાં. ને એક એક સાથે નાગા થઈ સુવા વગેરેમાં મઝા માનતા. મને પણ તે લોકો પોતાની મરજી મુજબ મોજમઝા કરાવતા પણ અદ્યાપિ મને એવાં કર્મમાં પ્રીતિ થઈ ન હતી, બલ્કે તિરસ્કાર હતો. પછીના અરસામાં બાકીનાઓનો સ્નેહ થયો. તેમની પણ દુર્વ્યસનિતાની સીમા હતી. અમારા ગામમાં એક વાણીઓ અમો સર્વનો પડોસી છે તેનો ધંધો નાનાં બાલકને હાથરસ વગેરે ટેવ શિખવવાનો છે. આ સર્વ માણસો તેના શિષ્ય હતા તે એટલે સુધી કે તેમને આવાં કર્મ માટે દ્રવ્ય પણ આપી રાજી રાખતો. આ લોકોની રીતભાતની પણ મારા પર કાંઈક અસર થઈ પણ સ્પષ્ટ જણાવવું જોઈએ કે મારાં માબાપની સખ્ત સંભાળને લીધે હું તેમના ભેગો વધારે જઈ શકતો જ નહિ. તેથી આ વ્યસનમાં પડી ગયો નહિ. પણ એક પરિણામ ઘણું જ શોકકારક આવ્યું. મારી જવાન મનોવૃત્તિઓ ઘણી જ ઉશ્કેરાઈ ગઈ અને વ્યવહારની સર્વ વાત બાલવયમાં ખબર પડવાથી મને પણ સ્ત્રીના અભાવે પુરુષો સાથે વિવિધ સંબંધ (પણ તે કોઈ કોઈ વાર જ) કરવાનું મન થઈ આવવા લાગ્યું.

આ રીતે વૃત્તિ કેવળ બગડવા માંડી તેવામાં શુભ વાત એ થઈ કે પેલા માસ્તરના શ્રમથી મને ભણવામાં રસ લાગી ગયો. જનસ્વભાવ વિલક્ષણ છે. આ મારા સોબતીઓ તમામ પછાત પડવાથી તેમણે સહજ ઇર્ષ્યાથી મને જોવા માંડયો, અને મને અમુક બાયલી ટેવો છે એવી નિરાધાર વાત ચલાવી મને હલકો પાડવા પ્રયત્ન માંડયો. તેની જ સાથે એમ પણ તેમણે રાખ્યું કે મારી જોડે સ્નેહ રાખી મને તેવી ન હોય તે તમામ ટેવમાં ઉતારવો. આમ ઘણાં વર્ષ ચાલ્યું ને તે દરમીઆન મેં કોઈ વાર ભૂલચૂક કરી હશે, પણ એકંદરે મને કોઈ કુટેવ લાગી શકી નહિ કે મારા અભ્યાસમાં વિઘ્ન આવ્યું નહિ. આ વાત અત્રે દાખલ કરવામાં કાંઈ સાર નથી એમ ન જાણવું. મને લાંબા વખતના અવલોકનથી માલુમ પડ્યું છે કે દરેક ગામમાં ને દરેક શાળામાં આવા કુછંદવાળાં બાલકો ઘણાં છે અને તે બીજાંને બગાડે છે. માટે માબાપોએ પોતાનાં બાલકોની ઘણી સંભાળ રાખવી. આપણા દેશની હીન સ્થિતિ ને ગુજરાતમાં વિદ્યાના પછાતપણાના કારણમાં આ વાતને હું મુખ્ય માનું છું માટે ફરી ફરી માબાપોને પોતાનાં બાલકો સંભાળવા વિનતિ કરૂં છું.

આ બધા મારા સંબંધીઓએ તોફાન જ આદરેલું એટલે એક 'પંચલાલ' એ નામની મંડલી લોકો જોડે મારામારી તથા અંદર અંદર ગફલતથી પૈસા ખાઈ જવા ઉઠાવેલી. તે વળા હું પાંચમા છઠ્ઠા ધોરણમાં હતો ને આ મંડલીમાં