પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫. ખૂનનો આરોપ


તા. ૩૧–૭–૯૩
 

પાંચ માસે લખવાની ઉર્મિ આવી છે ! અંતરમાં કેવા કેવા ઉર્મિ આ પાંચ માસમાં બનેલા વૃત્તાન્તોથી રમી રહ્યા છે !! વ્યવહારનું કપટજાલ મારા જેવા નિયમિત રીતે અનાચારથી દૂર રહેવામાં કાળજી રાખનારને કેવું નડે છે ! અણધાર્યા ખર્ચના બોજામાં ઘર સંબંધે ઉતરાયું છે ! ધર્મસમાજમાં જવાનો યોગ થયાની જાતને પરમ આનંદ છે ! વળી પેલી મારી ગુપ્ત-નાની-પ્રેમદુનીયાં–રામછોટુ–તેમાંથી મન કાંઈક ગ્લાનિ પામીને આવ્યું છે ! પ્રકાશ-તિમિર, સુખ-દુ:ખ, આનંદ-ક્લેષ, સંસાર બધી વિરોધિવૃત્તિઓનું કોઈક વિલક્ષણ મિશ્રણ છે ! પણ તે આખા મિશ્રણના પ્રત્યેક રંગનો પૂરો કસ જાણે આ શરીર ઉપર જ બતાવવો એવો ભાવિનો નિશ્ચય ન હોય !!

પ્રથમ ઘર સંબંધી. નવું ઘર થઈ રહેવા આવ્યું છે. ૧૦-૧૫ દિવસમા કારખાનું બીલકુલ બંધ થશે. પણ ખર્ચ મૂળ ત્રણ ધારેલા તેના પાંચ થશે એમ ધાર્યું. પરંતુ હાલ એમ સમજાય છે કે ૬ અને ૭ હજારની વચ્ચે ખર્ચ થશે. ઈશ્વરેચ્છાએ તેટલો સવડ થશે; પણ રોકડ પુંજી પાસે આ સમયે કશી રહેતી નથી એથી મનને જરા ઠીક નથી લાગતું. માત્ર લેણું, ૭ હજારને આશરે છે તે તથા દાગીના જમીનો અને ઘર એ વિના કાંઈ રહ્યું નથી. વળી પાંચ વર્ષ શરીર રહેશે ને શ્રમ થશે તો સહજ દશ હજાર બચાવી લેવાશે એમ ઉત્સાહ છે, પણ ઘર બાંધવામાં આવો ખર્ચ અણધાર્યો થઈ ગયો તેથી કાંઈક ખેદ થાય છે. મને પૈસા બચાવતાં નથી આવડતા !! એ ઘરના અંગે એક થાંભલો છે તેનો પડોશીને વેધ છે એમ તેનું માનવું છે. વેધનું શાસ્ત્ર હું જાણતો નથી, પણ વેધ હશે એમ ધારું છું. તે દૂર કરી આપવા પંચાત કરવાનું તેને કહ્યું પણ ન માનતાં તેણે દીવાનીમાં દાવો કર્યો છે કે આખો ઓટલો જ ખોટો છે. આ દાવો કરનારને તેનો મામો અને સસરો મદદ કરવામાં

૧૫૯