પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાયરી
૧૮૩
 

ઓઝાનું જીવનચરિત્ર રૂ. ૨૦૦૦) બે હજાર માટે લખી આપવાનું. રા. મનઃસુખરામે સાંપાવ્યું છે, અને ગજ્જરે પણ આશરે દોઢ બે હજારનું સંસ્કૃત ભાષાના ઇતિહાસનું કામ સોંપ્યું છે. ત્રણેક વર્ષ બીજો આયાસ કરવાની અપેક્ષા જેવું નથી. ચારિત્ર પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. તુકારામ તરફથી જીવન્મુક્તિ- વિવેકનું ભાષાંતર કરવા માંડ્યું છે તે છપાય છે, પ્રથમાવૃત્તિનો હક તેમને આપેલો છે. ઈમીટેશન, પંચશતી આત્મનિમજ્જન છપાય છે. અમદાવાદવાળા ગિરધરલાલ હીરાલાલે સમાધિશતકનું અંગ્રેજી મારી પાસે કરાવી છપાવ્યું છે, પ્રથમાવૃત્તિનો હક તેમનો છે. વડોદરા કલાભવનમાં મણિશંકર રત્નજી કરીને ગ્રેજ્યુએટ નોકર છે. તેના વિચાર વેદાન્તની વિરુદ્ધ હતા. જ્ઞાનસુધામાં સિદ્ધાન્તસારનું અવલોકન તે લખે છે. તેમનો મારી સાથે સમાગમ વધતાં તેના વિચાર બહુ જ બદલાઈ ગયા જેનું ફલ જુલાઈના જ્ઞાનસુધામાં તેણે જણાવ્યું છે. અધ્યાત્માભ્યાસ સારી રીતે ચાલતો જ છે. સુદર્શનને દશ વર્ષ થવા આવ્યાં છે. એનું લવાજમ હવે રૂ ૨) કર્યું છે.

જાનેવારીમાં લાઠી દરબારને ગાદી મળી ત્યારે હું ને કેટલાક મિત્રો ગયા હતા. એ માણસની વધારે પરીક્ષા ત્યાં થવાનો પ્રસંગ મળ્યો હતો. છોકરવાદ, સ્ત્રીવશ, કાંઈક અભિમાની, અને હાથે બખીલ છતાં હોંસવાળો, કંઈક સાક્ષર અને કાંઈક રસિક એવો એ માણસ છે એમ મનને લાગ્યું છે. પત્રાદિ ચાલતાં જ છે. છોકરવાદ ટોળી એની સલાહકાર છે. એકવાર એ સકુટુંબ મુંબઈ જતો હતો તેનો એણે તાર કરવાથી રૂપૈયા પચાસ ખર્ચી એને રેલવે સ્ટેશને ખાણું આપ્યું હતું. લાઠી ગયો ત્યારે પણ મને જવા આવવાના ખર્ચના અને પોષાખ નજર કર્યાના મળી રૂપૈયા પોણોસો કરતાં વધારે ખર્ચ થયું હતું છતાં લાઠીથી વળતી વખતે તેણે સામો પોષાખ આપ્યો તે માત્ર રૂપૈયા સાઠેક કરતાં વધારે ન હતો.

મુંબઈમાં વનમાળી લાધા (હિંદુસ્તાનના અધિપતિ)એ સાક્ષર સહાયક પ્રજાબોધક મંડળી કાઢી તેમાં રૂ. ૨૫) નો શેર મેં રાખ્યો છે. એ માણસે મારા પત્રો વગેરે લેઈ પૈસા ઠીક ભેગા કર્યા છે. મુંબઈ પ્રથમ સભા થઈ ત્યારે હું ગયો હતો પણ એ લોકોનો વ્યવહાર સ્વાર્થી ને લુચ્ચાઈવાળો લાગે છે. ભાઈશંકરને પ્રમુખ ઠરાવ્યો ત્યારથી કોઈ એ લોકોનો વિશ્વાસ કરતું નથી. અમદાવાદમાં મારા સ્નેહી સા. કેશવલાલે વાસણનું કારખાનું કાઢ્યું છે તેમાં મારા ૫૦૦) રૂપીઆના શેર છે.

મુંબઈવાળી ચોકશીની સ્ત્રી વડોદરે એકવાર આવી હતી. તેની