પૃષ્ઠ:Atmavruttanta.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉચ્ચ અભ્યાસ
૩૩
 

વયે, નડિઆદ હાઈસ્કુલ સબ પ્રોટેમ બીજા આસીસ્ટંટની જગો પર હું દાખલ થયો. મને પગાર દર માસે રૂ. ૬૦) મળતો હતો.

મુંબઈમાં મેં જે અભ્યાસ આરંભેલો હતો તેમાં મને ઘણી વાતો નજરે આવી હતી. યુરોપીઅન સુધારો, નીતિ, રીતિ, તથા ઈશ્વર, મોક્ષ ઈત્યાદિકના વિવિધ તર્ક મારી નજરે રમી રહ્યા હતા. મને એમ પણ નિર્ણય થયો હતો કે માણસના જીવિતનું મુખ્ય અને છેવટનું કર્તવ્ય એ જ છે કે આ તમામ વાતો વિષે નિર્ણય કરવો; નહિ તો તેની જિંદગીનો વખત કેવળ નિરર્થક જવાનો. હું કોલેજમાં રહ્યો તે દરમીઆન કેવલ નાસ્તિક બની ગયો હોઈશ એમ કોઈ અનુમાન કરે તો ખોટું નથી, કેમકે તેમ થઈ શકવાની સહજ સામગ્રિ મેં આગળ બતાવેલી છે. પણ આ બધું વાચનમાં આવ્યા પછી મનમાં ભારે ગરબડ ઉઠવા લાગી અને ધર્મ, નીતિ તથા સુધારાના તત્ત્વ વિષેનો નિર્ણય કર્યા વિના મારી જીંદગી સુખમાં કે નિશ્ચિત માર્ગે જવાની નથી એમ મને દ્રઢાગ્રહ થયો. નડીઆદમાં પણ એવો ને એવો અભ્યાસ કાયમ રાખ્યો. પણ કહેવું જોઈએ કે યુરોપીઅન ફીલસુફોનાં લખાણથી મને પુરો સંતોષ થયો નહિ. મારા મનમાં એમ તર્ક ઉઠ્યો કે મને સંસ્કૃત તો આવડે છે ને પંડિતો – યુરોપના ને અહીંના – સંસ્કૃતમાં ફીલોસોફીની બાબતોનાં ઘણાં વખાણ કરે છે તો તેમાં શા ખુલાસા છે તે જાતે મૂળ સંસ્કૃત ગ્રંથ વાંચી સમજવા. આ ઉપરથી મેં પ્રથમ તો મહાભારત, રામાયણ, ગીતા વગેરેના કોઈ કોઈ અંશ વાંચવા માંડ્યા, તેમ કોઈ સ્મૃતિ વાંચવા માંડી, ને યુરોપીઅન સ્કોલરોનાં એ સંબંધનાં લખાણ પણ ધ્યાનમાં લેવા માંડ્યાં. નડીઆદમાં પુસ્તકો મળવાં કઠિન પડતાં, પણ ધીમે ધીમે અભ્યાસ ચાલતો. આ વાતની સાથે જ માલતીમાધવનું ભાષાંતર પણ ચાલ્યાં જતું. તે પુરૂં થયું ને તેની એટલી નકલ ખપી કે જેમાંથી ખર્ચ માત્ર આવી રહ્યું. એ ગ્રંથ પ્રસિદ્ધ થતામાં કોઈએ એના પર અભિપ્રાય જણાવ્યો નથી. પણ તે પછી બે વર્ષે "ગુજરાતી"માં કાંઈ આવ્યું હતું તે કેવળ સ્તુતિમય હતું. શાળામાં જે પગાર મળતો હતો તેમાં કદાપિ વૃદ્ધિ થશે કે નહિ એવા સંશય આગળપાછળનો વિચાર કરતાં આવવા લાગ્યા ને ગરજના માર્યા વળી કાયદાને શરણ થવું એમ ઈચ્છા થઈ. મુનસફની પરીક્ષામાં જવા માટે કાંઈ કાંઈ વાંચવા પણ માંડ્યું. આ ઉપરાંત શાળાનું કામ તો ચાલતું જ હતું, તેમાં જે જે વિષય જેને જેને મેં ભણાવ્યો છે તે સર્વની મારા પર અનન્ય પ્રીતિ છે એમ મને અદ્યાપિ માલુમ છે.

અત્યાર સુધી મેં મારાં સગાંસંબંધી બાબત કાંઈ લખ્યું નથી. એક વાર

મ.ન.દ્વિ. - ૩