તેથી પ્રસિદ્ધિમાં આવ્યાં નથી. આમ થવામાં ધારેલો લાભ ન મળ્યો પણ મારા જ્ઞાનમાં સારો ઉમેરો થયો. ભીમાચાર્ય શાસ્ત્રીને હંમેશાં ઘેર બોલાવી 'તર્કસંગ્રહ દીપિકા સહિત' બબે કલાક ભણવા માંડ્યો. તેઓ બીજી ઘણી ટીકાઓ વાંચતા વંચાવતા. તે સર્વ પરથી હું અંગ્રેજીમાં નોટ લખતો જતો. આ ગ્રંથ શુદ્ધ કરી નોટ સહિત છપાવવાનો મેં નિર્ણય કર્યો. એ વાત ભીમાચાર્યે દાક્તર પીટર્સનને કહેવાથી તેણે મને બોલાવી પુછયું કે Bombay Seriesમાં તમે છપાવા આપો તો શી હરકત છે? મારે તો એવી જ જાતની પ્રસિદ્ધિ જોઈતી હતી; દક્ષણીઓ ગુજરાતીને સંસ્કૃતમાં પથરા જેવા ગણે છે તે માટે જ એ જ દક્ષણીઓએ રોકી લીધેલા Bombay seriesના કિલ્લામાં મને પેસવાનું ઘણું મન હતું; એટલે ડા. પીટર્સનની વાત મેં માન્ય કરી. પુસ્તક તૈયાર થયેથી મેં ખબર કરી, પણ આ વેળે પ્રસંગ એવો બન્યો કે પીટર્સનના સાથી ભંડારકરે એ જ પુસ્તક ઘણો વખત થયાં કોઈ યશવંત વાસુદેવ આઠલે એમ.એ. એલએલ.બી. દક્ષણીને તૈયાર કરવા સોંપેલું તેથી હવે મારો શ્રમ નકામો ઠર્યો! પીટર્સન ગભરાયો ને તેણે પેલા દક્ષણી ગૃહસ્થ, જેણે કાંઈ આરંભ પણ નહિ કરેલો, તેને મુકાવી દેવા ઘણી મહેનત કરી પણ ફોકટ. આ પ્રમાણે મારી આ ઉમેદ પણ નિષ્ફલ ગઈ.
મંબઈ છોડવાના છેક આખરના પ્રસંગમાં મને પ્રસિદ્ધ પંડિત ગટુલાલજીનો ઘણો સમાગમ થયો હતો તે હાલ પણ છે; પણ તેમની અવ્યવસ્થાને લીધે મારાથી તેમની પાસે કાંઈ ભણી શકાયું નથી. પ્રસંગોપાત્ત વિવિધ વાતની ચર્ચા કરતા ને તેમાં મને સારૂં જ્ઞાન મળતું, તથા કાવ્યવિનોદ પણ અચ્છો ચાલતો; પણ એવા સરસ્વતીના અવતારરૂપ પુરૂષ પાસે તેની અવ્યવસ્થાના કારણથી જ હું કાંઈ ચોક્કસ જાણી શક્યો નથી જ. બાકી મારી ઉમેદ તો એટલી બધી હતી કે શરીર સામું ન જોતાં રાતના બે બે વાગ્યા સુધી એમની પાસે બેસી રહેતો.
હું મુંબઈમાં હતો તેવામાં આશરે ૧૮૮રમાં મેં 'પૂર્વદર્શન' એ નામની નાની ચોપડી છપાવી હતી. નિશાળોમાં ઇતિહાસ માટે વપરાતાં પુસ્તકો નઠારાં જોઈ મેં હિંદુસ્તાનનો ૧૭૬૧ સુધીનો નાનો બાળકોને ફાવે તેવો ઇતિહાસ લખ્યો હતો. કાંઈક પૈસા પણ તેમાં મળે એમ જાણી ૧૦૦૦ નકલ કઢાવી હતી. એવામાં કોઈએ એ જ નામ રાખી, બીનામાં જરા આડું અવળું બનાવી, બીજી બુક છપાવી. તે માણસે મારા ગ્રંથનું નામ લઈ લીધા બાબતની તકરાર થઈ તેમાં તેણે રૂ. ૫૦) આપી સમાધાન કર્યું. પછી મારા મનમાં એમ