પૃષ્ઠ:Atmavruttanta.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
મ.ન.દ્વિ.નું આત્મવૃતાન્ત
 

નથી માટે તે સંબંધી પરીક્ષા માટે તો આ કાવતરૂં નહિ હોય, એટલે હું ફસાયો. મૂળ તો આવો સંબંધ થયા પછી મેં તેનું નામ પણ ના દીધેલું. આ વેળે વળી તે ફરી મળવા લાગી અને હું પણ ભુખ્યો હતો એટલે એકાદ વાર સ્વીકારી, પણ આ નડીયાદના બે સંબંધમાંથી મને પ્રમેહ લાગુ પડ્યો તે ત્રણ માસ સુધી મહા કષ્ટ દઈને મટ્યો. છેલો સંબંધ મુંબઈમાં એક પારસણનો થયો. ભાવનગર જવાનો નિર્ણય થઈ ગયો હતો ને પંદરવીસ દિવસમાં જવાનું હતું તેવામાં એક પારસણ શોધતી આવી. તેના ચાળાચસકા જ કાંઈ ઓર હતા. તેને નોકરી આપી ને તે પછી રૂ. ૫-૧૦ આપીને એકાદ-બે વાર બોલાવી હતી. આ સિવાય ફરી મુંબઈ રહેવાના આ ચાર વર્ષમાં મેં કાંઈ કર્યું નથી.

એકાદ વર્ષ હું નડીયાદમાં હતો તેવામાં એક બીજો પણ પ્રસંગ આ ચાર વર્ષમાં બનેલો છે. બાળાશંકરને ને મારે તથા તેના ઘર સાથે કેવળ ટુટ પડેલી હું કહી ગયો છું. તેની સ્ત્રી મારૂં ઓળખાણ રાખી રહી હતી. તેની સાથે જે આગળ બનાવ થયેલો તેની મારા મનમાં ઘણી ખટક હતી. ને મેં 'કાન્તા' નાટકમાં પણ તે વાત ઉતારી હતી. પણ કાન્તાની કસોટી કાઢવાનું જેમ હરદાસને મન થયું તેમ મને પણ હતું. કેમકે આ સ્ત્રીએ પોતે મને ફસાવ્યો હોય એ વાત હું માનતો નહિ ને તેને વ્યભિચારિણી તો ગણતો જ. છતાં મેં કાંઈ પ્રયત્ન કર્યો ન હતો. પણ એક દિવસ તે મને મળવા માટે ઘેર આવી. હું ને તે એકલાં જ હતાં. ઘણી તેના ધણીના મારા સંબંધની વાતો થયા પછી હું ઉઠ્યો. પણ તે તો હાલે જ શાની? તેણે ગમે તેવી સંજ્ઞા, વાકચાતુરી વગેરે માંડ્યું. ને અમથો બાહ્યોપચાર થયો. પણ તે પછી મેં કશો પ્રયત્ન કર્યો નહિ ને એ સંબંધ વળી પડ્યો રહ્યો.

મારા હૃદયની ને મનની સ્થિતિ કહેવાની જરૂર છે? ધર્મ સંબંધી જે જ્ઞાન મેળવ્યું હતું તે જ મારૂં જીવન હતું. ગમે તેવા શરીરસંકટમાં ગમે તેવા પરાજયમાં, ગમે તેવી સાંસારિક વિટંબનામાં, પણ यदभावि न तदभावि। भावि चेन्न तदन्यथा॥ ! એ નિશ્ચયથી કરીને કદાપિ મન સંતપ્ત થતું નહિ. જે કાળે જે પ્રાપ્ત થાય તેનો નિર્વાહ કરી આનંદ માનવાનો નિશ્ચય થયો હતો. આમ થવાથી મારામાં ધૈર્ય પણ કાંઈ લોકોત્તર જ પ્રાપ્ત થયું હતું. પણ તેવા ઘેર્યની સાથે મારા શ્રમ કરવાના ઉત્સાહમાં ને મેહેનત ઉઠાવવાના મનમાં કાંઈ ન્યૂનતા જણાતી ન હતી. આ ધર્મ સર્વને સમજાવવો એટલું જ નહિ પણ મારી સ્ત્રી ખરાબ નીવડવાથી જે દુઃખ થયું તેવું સર્વને હશે માટે સ્ત્રીવર્ગની