પૃષ્ઠ:Atmavruttanta.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી
૯-૨-'૮૭ મુંબઈ
 

મારી ૨૮ વર્ષની ઉમર પુરી થતાં મારા મનમાં એમ વિચાર દ્રઢ થયો કે મારે એક ટુંકો સરખો પણ વાસ્તવિક વાત સહજમાં દ્રષ્ટિગોચર થાય એવો મારો પોતાનો અહેવાલ લખવો ને તે આજ સુધી લાવી પછી તેમાં મરણ પર્યંત જે જે મુખ્ય બીના બને તે ઉમેરતા રહેવી. આમ કરવાનાં કારણ ઘણાં હતાં. આ સમય એવો હતો કે જે વખતે મારે ઘણામાં ઘણા શત્રુઓ તો નહિ, પણ વિરુદ્ધ મતના પ્રતિપક્ષીઓ હતા; તેમની નિંદા અને ઈર્ષાજન્ય ગપો અગણિત હતી. મને તો એમ જ ભાસતું કે કોઈ માણસ ભાગ્યે જ મારા જેટલી ઇર્ષ્યા, નિંદા અને ગેરસમજુતથી થઈ આવેલી અપ્રીતિનો પાત્ર થયો હશે. કયા ન્યાયી માણસને આવે સમયે પોતાની ખરી વાત જાહેર કરવાનું મન ન થાય? પણ તે કોના આગળ કરવું? એકબે મિત્રોને કહેવાથી સંતોષ થતો નહિ, પણ આ મારાં કાગળીયાંમાં જ મને વધારે સંતોષ મળશે અને હું હવે પછી થતા નિષ્પક્ષપાત સજ્જનો આગળ મારી ફરીયાદ કરી શકીશ એમ મને વારંવાર થતું. આ કાગળો કોઈને હાથ જશે કે નહિ એ પણ શંકાની વાત છે, પણ મેં આજ સુધી જે જે લખ્યું છે તથા કર્યું છે તેની છાપ ગુજરાતમાં મને જે અંશે પડેલી લાગે છે તે અંશ પરથી વિચારતાં જરૂર આ કાગળોનો પણ કોઈ શોધક ખપ કરશે એવી આશા મારા હૃદયમાંથી મને ઉત્તેજન આપે છે. આ સમયે મારા મિત્રામિત્રની પરીક્ષા પણ મને પાકી થઈ હતી, અને મારો અભ્યુદય પણ સાધારણ પણે કોઈને પણ ઈચ્છવા યોગ્ય હતો; ઉપરાંત મારા શરીરજન્ય વ્યાધિની વ્યથા નિઃસીમ હતી. આ લખવામાં મારા ગુણનું બ્યાન કરી, દોષ ઉપર ઢાંકપીછોડો કરવાનો હેતુ નથી. મારા ગુણ વિષે કાંઈ ન બોલતાં કેટલીક હકીકત માત્ર જ આપવી અને તે પરથી વિચારવંતને