પૃષ્ઠ:Atmavruttanta.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
મ. ન. દ્ધિનું આત્મવૃત્તાન્ત
 

આ સંબંધે તો આવા ફેરફાર સહિત કાયમ રહ્યા, પણ એક સંબંધ વળી તદ્દન માંડી વળાયો. મુંબઈમાં ત્રિભુવનદાસ ગજ્જરના સંબંધની વાત મેં લખી છે. તેણે મારી વ્યભિચારી ચાલ વિષે મને ભાવનગર ગયા પછી તરત લખ્યું તે બાબત ખુલાસા થતાં પણ અમારાં ઉભયનાં દીલ કાંઈક ઉંચાં રહ્યાં. એકવાર હું મુંબઈ ગયો ત્યારે તેમણે મને આગ્રહથી પોતાને ઘેર ઉતાર્યો, અને પોતે સુરત ગયા એટલું જ નહિ પણ ઘરમાં ખાવાની સામગ્રિ લાવવાના પૈસા પણ મારે આપી મંગાવી ખાવું પડયું !! આમ છતાં પણ તેણે લખેલી મારા પરના સ્નેહની વાતો વાંચીએ તો તો મન તેના પરથી પાછું ફરે જ નહિ. આ ઉપરાંત એમના મનમાં એમ ભરાવા લાગ્યું હતું હતું કે હું જ ડાહ્યો, સમજુ, વિદ્વાન્, નીતિમાન્ છું તે હવે જરા વધવા માંડ્યું હતું ને તેથી તેમની વાતચીતનો આકાર આજ સુધી મશ્કરીરૂપ હતો તે બદલાઈ પોતાનું અહંપદ અને સામાનો તિરસ્કાર એવા રૂપનો થયો હતો. વળી બીજીવાર હું ૧૮૮૬માં માંદો હતો તેમ જ પરીક્ષક નીમાયેલો હતો એટલે મુંબઈ જનાર હતો, ને બેત્રણ માસ રહેનાર હતો. આટલા માટે હું જુદું ઘર શોધાવતો હતો, પણ આ મારા મિત્રે અતિશય આગ્રહ કરી મને પોતાને ઘેર રાખ્યો. ત્યાં વ્યવહારમાં, ખાવામાં, પીવામાં, વાતમાં, ચીતમાં ડહાપણમાં એ માણસે જે મારો તિરસ્કાર કર્યો છે તે વિચારી આજ પણ મારું દીલ એમ પોકાર્યા વિના રહેતું નથી કે જાત વિના ભાત ન જ પડે – સુથાર તે સુથાર જ ! તેવામાં હું કેવળ મુંગે મહોડે સહન કરી પડી રહેતો, સુડી વચ્ચે સોપારી થયેલું – ઉપાય શો ? એમને સુરત જવાનું આવ્યું, હું ગહન તાવમાં પીડાતો હતો, છતાં પોતે ચાલી ગયા; ને મારો પણ છુટકો થયો કે મને પણ મારી મનગમતી જગોએ મુંબઈમાં જવાનું મળ્યું. આપણે પણ તે દિવસથી લાંબા થઈ નમસ્કાર કર્યો તે હવે મળીશું. આમ થવાનાં કારણે ઘણાં હતાં. જ્ઞાનમાં અમે બને ઘણા આગળ ગયેલા હતા, પણ સુધારા વિષે, દુનીયાંના વ્યવહાર વિષે, ધર્મ વિષે, કાવ્ય વાચન વગેરે વિષે મારા ને તેના અભિપ્રાય કેવળ સામસામાં હતા. હું તેની સાથે માથું ફોડતો નહિ, પણ તે તો મને મારી વાત મુકાવી પોતાની પકડાવવાને ગાળો સુધી દેતો તે પણ હું સહન કરતો પણ તેનામાં મારી વાત સાંભળી તોલન કરવાની શક્તિ જ ન મળે, એટલે પોતાનો કક્કો કર્યાં કરે, ને એ મને મૂર્ખ માને ને હું એને મૂર્ખ માનું એ પ્રથમ અણબનાવનું કારણ. બીજું એને સ્ત્રીઓમાંની મારી એક-બે ગરબડ જાણવામાં આવી તેથી એણે મને ઠપકો દેવા માંડ્યો; મેં પણ મારો વાંક કબુલ કરી એને મારી