પૃષ્ઠ:Atmavruttanta.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
મ્.ન્.દ્વિ.નું આત્મવૃતાન્ત
 

મૂળે એક અમારા પડોશી સાથે જમીનની તકરાર હતી તેના પર કાયદેસર અરજી કરવાનું મેં કહ્યા છતાં, પોતાથી કાંઈ ન બને તેમ છતાં, ને બીજો ઉપાય ન છતાં, તેમણે ખર્ચના લોભથી અર્જી ન કરેલી ને જમીન ગુમાવેલી એ બાબત મને તેમનો ઘણો તિરસ્કાર થયો હતો ને આ રાક્ષસી વર્તન જોઈને તો મારું કાળજું છેક ચૂરેચૂરા થઈ ગયું. નડીયાદથી હું મુંબઈ ગયો ત્યાં પણ એવા કાગળ લખે કે પૈસા ઘણા મળ્યા તો ઘણા ઉરાડડ્યા એમ વહી ગયા વગેરે પણ મારા શરીરનો હિસાબ ન લે! ! મારી માબાપ પર પરમ આસ્તા હતી, ને હું ક્યારનો સંસાર તજી ગયો હોત, પણ તેમને લીધે જ હું બેશી રહ્યો હતો. આ બનાવો બન્યા પછી મારા મનને સંસાર સાથે સંબંધ રાખવાનું એક પણ આલંબન રહ્યું નહિ. મારા બાપની આવી બુદ્ધિ જોઈ તથા મારી માના મનમાંના કુતર્ક જોઈ મેં નિર્ણય કર્યો કે મારે હવે દ્રવ્ય ઘરમાં દેવું નહિ. મેં આજ સુધી પાઈ પણ ભેગી કરી ન હતી. તેમાં તમામ મારા પિતાને આપેલું તે ક્યાં ગયું તે પણ હું જાણતો ન હતો. આ વર્ષથી મેં જુદા રૂપિયા રાખવા માંડ્યા ને મારી પાસે આશરે ૧૦૦૦-૧૫૦૦ની [રકમ] જમા થઈ. મારા ભાઈનું વય ૧૧ વર્ષનું હતું તેથી હવે તેને ૨૦-૨૫ વર્ષ થવાની વાટ જોવી રહી.

હવે સ્ત્રીસમાજમાંના મારા સંબંધોની વાત કહું. પણ તેમાંથીએ મારા હૃદયને સંસારમાંથી વિરક્ત કરવા કરતાં બીજું પરિણામ આવ્યું જણાશે નહિ. વાંચનાર ! એમ ન સમજતો કે મેં વિષયવૃત્તિ ડબાવવા કદાપિ વિચાર જ નહિ કર્યો હોય. વારંવાર તેનો તે જ વિચાર ચાલુ રહેતો, પણ પ્રસંગ મળે તો ઘણા દિવસની અકળામણ પર કબજો રહી ન શકતો. તેમ જ એક વારના બંધાયેલા સંબંધ સંબંધીનો સ્નેહ હોય ત્યાં સુધી તુટવા પણ મુશ્કેલ જ. ભાવનગરમાં તો એવો દઢ નિર્ણય કર્યો હતો કે એ ગામમાં કોઈ પણ સ્ત્રીના સામું સરખું જોવું નહિ; અને આ નિયમ મેં અદ્યાપિ અવિચ્છિન્ન પાળ્યો છે. મુંબઈમાં ...ની વહુનો જે સંબંધ હતો તે તો મનમાંથી ખસતો નહિ; તે સ્ત્રીનું કોઈક વાર પત્ર ન આવ્યું તેમાં ઘેલા થઈ જઈ “આવી ન આજ તક પતીયાં એ યારની" એ કવિતા લખી મોકલેલી. પછી તો પત્રો આવતાં જતાં ને મઝો ચાલતી. તેના પર કેવળ નિમગ્ન થઈ ગયાના આવેશમાં “રંગ રસભર મોરે દીલ છાઈ રહી” એ પણ રચાયેલું. રજા પડતાં હું વારંવાર મુંબઈ જતો તે ઘણું કરી એને જ માટે; પણ ભાવનગર ગયા પછી જે પહેલી રજા પડી અર્થાત્ ૧૮૮૫ના મે માસની તેમાં જ મારી ને તેનો હીસાબ માંડી વળાયો. હું મુંબઈ ગયો;